નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. દિકરીના મોત બાદ પિતાનું નિવદેન સામે આવ્યું છે. પીડિતાના પિતાએ કહ્યું, આરોપીઓનું હૈદારબાદની જેમ એન્કાઉન્ટર કરવામાં આવે, આરોપીઓને દોડાવી-દોડાવીને ગોળી મારવામાં આવે અથવા તો ફાંસી દેવામાં આવે. અમારે જીવના બદલે જીવ જોઈએ. પીડિતાના પિતાએ કહ્યું મને પ્રશાસને દિકરીના મોતની ખબર નથી આપી. તેમણે કહ્યું આરોપીઓને અમને પણ જાનથી મારવાની ધમકી આપી છે.


એબીપી ન્યૂઝ સાથે વતચીતમાં પીડિતાની બહેને કહ્યું, અમારી સાથે ન્યાય નથી થયો, અત્યાર સુધી કોઈ મળવા પણ નથી આવ્યું. અમે ઈચ્છીએ છીએ કે અમારી સાથે ન્યાય થાય અને આરોપીઓને સજા મળે. પીડિતાની બહેને કહ્યું જે રીતે મારી બહેનનો જીવ ગયો તેમ વીજ રીતે આરોપીઓને પણ જીવ જાય. આ લોકોને પણ ફાંસીની સજા આપવામાં આવે. અમારે બીજુ કંઈ ન જોઈએ.

જાણકારી મુજબ 10 વાગ્યે પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારને સોંપી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાના શબને એરલિફ્ટ કરી ઉન્નાવ લાવવામાં આવશે.

મહત્વનું છે કે, પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુ જીવવા માગું છું’. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.