લખનઉ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5મી ઓગસ્ટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ભૂમિપૂજન કાર્યક્રમ માટે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાથને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે સિવાય અન્ય કોઈ મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 200 મહેમાનોની યાદી તૈયાર કરી લીધી છે. તેમાં યોગી આદિત્યનાથનું નામ સામેલ છે.
હવે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અગાઉ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. શિવસેના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જુનો સબંધ રહ્યો છે. એવામાં ઉદ્ધવ ઠાકરેની આશાઓને ઝટકો લાગી શકે છે.
અહેવાલ અનુસાર, ભૂમિપૂજનમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોની યાદી અંગે ગુપ્તતા વરતવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર આમંત્રિતોના નામ જાહેર કરવામાં આવી નથી રહ્યા. આ 200 લોકોના નામ નક્કી કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ , રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિ અને ટોચના પ્રશાસનની મહત્વની ભૂમિકા રહી છે.
રિપોર્ટ અનુસાર, અયોધ્યાના ધારાસભ્ય, સાંસદ, મેયરને પણ ભૂમિપૂજનમાં બોલાવાશે. જોકે, રામ મંદિર સાથે જોડાયેલા ભાજપના ઘણા નેતા બાકાત રહી શકે છે. એવી પણ માહિતી સામે મળી છે કે, 1991 અને 1992માં 6 ડિસેમ્બરે માર્યા ગયેલા કેટલાક કારસેવકોના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. રામ મંદિર આંદોલનના પક્ષકાર ઈકબાલ અંસારીને પણ બોલાવવાની વાત સામે આવી છે.