UP Night Curfew: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ઘણા રાજ્યોએ કોરોના પ્રતિબંધો હળવા કર્યા છે અને નાઇટ કર્ફ્યૂ ઉઠાવી લીધા છે. જેમાં વધુ એક રાજ્યનો સમાવેશ થયો છે. હાલ ચૂંટણીવાળા રાજ્ય ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પણ નાઈટ કર્ફ્યૂ હટાવવાની જાહેરાત કરી છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ ઘટતાં રાજ્ય સરકારે નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસ 8,683 કેસ છે. જ્યારે 20,30,997 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 23,424 લોકોના કોરોનાથી મોત થયા છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. ગઈકાલે 25 હજાર 920 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ​​કેસમાં ઘટાડો થયો છે. દેશમાં 24 કલાકમાં 66 હજાર 298 લોકો સાજા થયા છે.



  • એક્ટિવ કેસઃ 2,53,739

  • કુલ રિકવરીઃ 4,20,37,536

  • કુલ મૃત્યુઆંકઃ 5,11,230

  • કુલ રસીકરણઃ 175,03,86,834 (જેમાંથી 36,23,578 ડોઝ ગઇકાલે આપવામાં આવ્યા)

  • ગઈકાલે દેશમાં 12,35,471 ટેસ્ટ કરવામાં આવ્યા હતા


જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત


કોરોનાથી દૈનિક મૃત્યુઆંકમાં એક જબરદસ્ત ખેલ થયો છે. આંકડાઓની આ રમતને કારણે ફેબ્રુઆરીમાં 15 હજારથી વધુ લોકોના મોત નોંધાયા છે. ગયા વર્ષે જુલાઈમાં મૃત્યુઆંક પછી આ આંકડો સૌથી વધુ છે. જુલાઈમાં 24 હજારથી વધુ મૃત્યુ નોંધાયા હતા, પરંતુ મૃત્યુઆંકમાં આ અચાનક વધારો થવા પાછળ એક નવી વાત સામે આવી છે.


ફેબ્રુઆરીમાં, કોરોનાથી માત્ર 8,673 મૃત્યુ નોંધાયા છે. જ્યારે, આ આંકડાઓમાં 6,329 (42%) જૂના મૃત્યુ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે આ સંખ્યા 15 હજારને વટાવી ગઈ છે. જાન્યુઆરીમાં પણ આવી જ એક રમત બની હતી. જાન્યુઆરીમાં 14,752 મૃત્યુ નોંધાયા હતા, જેમાં 5483 મૃત્યુ ઉમેરાયા હતા.


ફેબ્રુઆરીમાં કોરોનાના પ્રથમ અને બીજા તરંગમાં થયેલા મૃત્યુને જોડવામાં કેરળ સૌથી આગળ હતું. કેરળમાં ફેબ્રુઆરીમાં 6217 મૃત્યુ નોંધાયા હતા. આ સિવાય મહારાષ્ટ્રમાં 936, કર્ણાટકમાં 759, બંગાળમાં 488, તમિલનાડુમાં 406 અને ગુજરાતમાં 401 મૃત્યુ નોંધાયા છે.


આરોગ્ય વિભાગના ડેટા અનુસાર શુક્રવારે 200થી ઓછા દૈનિક મૃત્યુ નોંધાયા હતા, જે 10 જાન્યુઆરી પછીના સૌથી ઓછા છે.  જ્યારે 22,191 નવા કોરોના દર્દીઓ પણ નોંધાયા. આ સંખ્યા 31 ડિસેમ્બર પછી સૌથી ઓછી છે.