નવું દિલ્હીઃ લોકોના જીવનમાં ક્યારે તેમનો ભાગ્યોદય થઈ જાય તે કહી ન શકાય. જેમના નસીબમાં લખેલું હોય તે કોઈ પણ રીતે તેમને મળી જ રહેતું હોય છે ત્યારે એક એવો કિસ્સો અમે તેમને જણાવી રહ્યા છીએ. એક શાકભાજીના વેપારીએ એક કરોડની લોટરીની ટિકિટ કચરામાં ફેંકી દીધી હતી પરંતુ ત્યારે તેને ખબર ન હતી કે તે કચરામાં ફેંકેલી લોટરીની ટિકિટમાં તેને એક કરોડનું ઈનામ લાગ્યું છે.


કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવતા સાદિકે તેની પત્ની અમીના સાથે નવા વર્ષના એક દિવસ પહેલાં લૉટરીની 5 ટિકિટ ખરીદી હતી. 2 જાન્યુઆરીએ લૉટરીની જાહેરાત થઈ ત્યારે સાદિક સાથે શાક વેચતા કેટલાક દુકાનદારોએ તેને કહ્યું કે, તેને કોઇ ઈનામ નથી લાગ્યું. નિરાશ થયેલ સાદિકે તેની ટિકિટો કચરાપેટીમાં નાખી દીધી. બીજા દિવસે સવારે તે બજારમાં ખરીદી કરવા ગયો તો લોટરી વેચનાર દુકાનદારે તેને તેની ટિકિટ વિશે પૂછ્યું અને કહ્યું તેને એક કરોડનું ઈનામ મળ્યું છે.



ત્યારબાદ તેના મિત્રએ કહ્યું કે તેને એક કરોડનું ઇનામ લાગ્યું છે તેમ કહેતાં સાદિકની ખુશીનો પાર ના રહ્યો. રસપ્રદ છે કે સાદિકે પાંચ ટિકિટ ફેંકી દીધી હતી અને તેમાંથી એક પર 1 કરોડ અને બાકીની ચાર ટિકિટો પર 1-1 લાખ રૂપિયાનું ઇનામ નીકળ્યું. ત્યારબાદ આખા પરિવારનો ખુશીનો પાર ના રહ્યો અને તમામ મળીને હવે આગળનો પ્લાન બનાવી રહ્યા છે.

સાદિકની પત્ની અમીનાએ જણાવ્યું કે, લૉટરીના આ પૈસાથી તેમનું જીવન બદલાઇ શકે છે, અમીનાએ જણાવ્યું કે, સાદિકે બાળકો માટે એક એસયૂવી બુક કરાવી છે, આ સિવાય હવે તે તેનાં બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા ઈચ્છે છે, અમીનાએ કહ્યું કે, તેમનો પરિવાર ખૂબજ ખુશ છે અને હવે તેઓ આ પૈસાની રાહ જોઇ રહ્યા છે. કહેવાય છે કે, સાદિક અને તેની પત્નીને આ રકમ 2-3 મહિનામાં મળશે.