કોલકાતા: પશ્ચિમ બંગાળ(West Bengal )માં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ કોરોનાના કેસ (Corona case)માં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં શનિવારે એક દિવસમાં સૌથી વધુ 144 કોરોના વાયરસના દર્દીઓના મોત થયા હતા. જેના બાદ મૃત્યુઆંક વધીને 13,137 થઈ ગયો છે. 


આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સંક્રમણના 19, 511 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. નવા  કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 11,14,313 સુધી પહોંચી ગઈ છે.


રાજ્યમાં એક્ટિવ દર્દીઓ (Active cases)ની કુલ સંખ્યા વધીને 1,31,948 થઈ છે. આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ઓછામાં ઓછા 19,211 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે. 



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ વકરતો અટકાવવા માટે પશ્ચિમ બંગાળે પણ 30 મે સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી 30 મે સુધી જરૂરી સેવાઓ સિવાય તમામ બંધ રહેશે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207


18 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.