ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ઇન્દોર અને IIIT અલ્હાબાદના સંશોધકોએ સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ સંશોધન હાથ ધર્યું છે જેણે કોવિડ-19 ના વિવિધ વેરિઅન્ટ્સ માણસના શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મદદ કરી છે. આ અભ્યાસ ‘Journal of Proteome Research’ માં પ્રકાશિત થયો છે અને તેમાં, ભારતમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન 3,134 દર્દીઓના ક્લિનિકલ ડેટાની તપાસ કરવામાં આવી હતી. આ અભ્યાસના પરિણામો 'લોંગ કોવિડ' ના લક્ષણોને સમજવામાં મદદ કરી શકે છે, જેમાં દર્દીઓને ચેપના ઘણા મહિનાઓ પછી પણ થાક, શ્વાસ લેવામાં તકલીફ અને માનસિક મૂંઝવણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સંશોધકો માને છે કે આ લક્ષણો વેરિઅન્ટ્સ દ્ધારા શરીરની અંદર કરવામાં આવેલા ઊંડા ફેરફારોનું પરિણામ હોઈ શકે છે.
કોવિડ દરમિયાન શરીરની અંદર શું થાય છે?
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીરની અંદર અલગ બાયોલોજિકલ સિસ્ટમને અસર કરે છે. કેટલાક વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જ્યારે કેટલાક હોર્મોનલ અને મેટાબોલિક સિસ્ટમ્સ પર ઊંડી અસર કરે છે. સંશોધનમાં મલ્ટી-ઓમિક્સ, રામન સ્પેક્ટ્રોસ્કોપી અને મશીન લર્નિંગ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં રોગની તીવ્રતા સાથે સંકળાયેલા 9 બાયોલોજિકલ માર્કરની ઓળખ કરવામાં આવી હતી.
ડેલ્ટા વેરિઅન્ટ: સૌથી ગંભીર અસર ધરાવતો વેરિઅન્ટ
આ અભ્યાસમાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે. આ વેરિઅન્ટ શરીરની ઉર્જા ઉત્પાદન પ્રણાલી (મેટાબોલિક પાથવે) અને હોર્મોન નિયંત્રણ પર સીધો હુમલો કરે છે. આનો અર્થ એ છે કે દર્દીઓ વધુ થાક, હોર્મોનલ અસંતુલન અને લાંબા સમય સુધી ચાલતા લક્ષણોનો અનુભવ કરી શકે છે.
IIT ઇન્દોરના ડૉ. હેમ ચંદ્ર ઝાએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીર પર અલગ અલગ અસર કરે છે, અને ડેલ્ટા સૌથી વધુ અસંતુલનનું કારણ બને છે.
IIT અને IIIT ની શાનદાર ભાગીદારી
આ સંશોધનને સફળ બનાવવામાં બે મુખ્ય સંસ્થાઓએ ફાળો આપ્યો હતો. IIT ઇન્દોરની ટીમે બાયોલોજિકલ ફેરફારોનું મેપિંગ કર્યું હતું. જ્યારે IIIT અલ્હાબાદની ટીમે દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ સહયોગથી પ્રથમ વખત કોવિડ-19 ને માઇક્રોબાયોલોજીકલ સ્તરે (મોલેક્યુલર લેવલ) સમજવાનું શક્ય બન્યું.
ભવિષ્યની આરોગ્ય નીતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા
IIT ઇન્દોરના ડિરેક્ટર પ્રો. સુહાસ એસ. જોશીએ જણાવ્યું હતું કે આવા સંશોધન માત્ર વૈજ્ઞાનિક સમજણમાં વધારો કરતા નથી, પરંતુ ભવિષ્યની આરોગ્ય નીતિઓ અને સારવાર વ્યૂહરચનાઓ સુધારવામાં પણ મદદ કરે છે.
આ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે કોવિડ માત્ર એક ચેપ નથી, પરંતુ એક જટિલ રોગ છે જે શરીરની ઘણી સિસ્ટમોને અસર કરે છે. દરેક નવો પ્રકાર એક નવો ખતરો અને એક નવો પડકાર લઈને આવે છે, અને આ સંશોધન આપણને વધુ સારી તૈયારી કરવાની તક આપશે.