અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
Weather: છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રશાંત મહાસાગરનું પાણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ આ વર્ષે આવનાર અલ નીનો ખૂબ જ શક્તિશાળી બની શકે છે, જેના કારણે સમગ્ર વિશ્વના હવામાન પર વ્યાપક અસર પડી શકે છે.

Weather:આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં "સુપર અલ નીનો" સર્જાવાની શક્યતા ઝડપથી વધી રહી છે. હવામાનની આ ઘટના એશિયાથી લઈને અમેરિકા સુધી અસર કરી શકે છે. કેટલાક વિસ્તારોમાં પૂર અને અન્ય વિસ્તારોમાં ગંભીર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અલ નીનો એ એવી ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે, જેની અસર વાતાવરણ પર પડે છે.
તાજેતરમાં યુરોપિયન ક્લાઈમેટ એજન્સીના ઉપગ્રહે પ્રશાંત મહાસાગરમાં 1000 કિમી પહોળી ગરમ પાણીની લહેર (કેલ્વિન વેવ) આગળ વધતી નોંધેલી છે. અમેરિકાના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટર અનુસાર જુલાઈના અંત સુધી અલ નીનો મજબૂત બનવાની સંભાવના 82 ટકા સુધી પહોંચી ગઈ છે. એપ્રિલમાં આ સંભાવના 65 ટકા હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વર્ષનો અલ નીનો ખૂબ શક્તિશાળી બની શકે છે અને 2027 સુધી તે વધુ મજબૂત સ્વરૂપ ધારણ કરવાની 67 ટકા સંભાવના છે.
શું છે સુપર અલ નીનો?
"સુપર અલ નીનો" કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક શબ્દ નથી, પરંતુ ખૂબ જ મજબૂત અલ નીનો માટે તેનો ઉપયોગ થાય છે. અલ નીનોની ઓળખ પ્રશાંત મહાસાગરની સપાટી પરના પાણીના તાપમાનના આધારે કરવામાં આવે છે.
જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન લાંબા ગાળાના સરેરાશ કરતાં ઓછામાં ઓછું 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહે અને આ સ્થિતિ સતત પાંચ મહિના સુધી યથાવત રહે ત્યારે તેને અલ નીનો કહેવામાં આવે છે. મજબૂત અલ નીનો માટે તાપમાનનો તફાવત 1.5 ડિગ્રી સેલ્સિયસ અને અત્યંત મજબૂત અલ નીનો માટે 2 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ હોવો જરૂરી છે.
વિશ્વ પર શું અસર પડશે?
અલ નીનોની સ્થિતિ દરમિયાન ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા અને કેનેડામાં સામાન્ય રીતે ગરમી અને શુષ્કતા વધી જાય છે. જેના કારણે દુષ્કાળ અને જંગલમાં આગ લાગવાના બનાવો વધી શકે છે.ભારતમાં અલ નીનોના કારણે ચોમાસાના વરસાદમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ દક્ષિણ અમેરિકાના ચિલી, આર્જેન્ટિના તેમજ પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતમાં નબળા ચોમાસાની આશંકા
અલ નીનોની વધતી સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારતમાં વર્ષ 2026 માટે નબળા ચોમાસાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો આવું થાય તો છેલ્લા 11 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાઈ શકે છે.તેના કારણે ખેતી, ખાદ્યપદાર્થોના ભાવ અને આર્થિક વિકાસ અંગે ચિંતાઓ વધી રહી છે. હાલમાં વૈશ્વિક અર્થતંત્ર પહેલેથી જ ઊર્જા સંકટ, ખાતરની અછત અને મોંઘવારીના દબાણનો સામનો કરી રહ્યું છે. ભારતમાં ચોમાસું વાર્ષિક વરસાદનો લગભગ 70 ટકા હિસ્સો પૂરું પાડે છે અને જળાશયો ભરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નબળા ચોમાસાના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે અને ફુગાવાનો દર સરેરાશ 5.5 ટકા સુધી પહોંચી શકે છે






















