પ્રખ્યાત શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ગુરુવાર (23 જુલાઈ)ની રાત્રે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. ત્યારબાદ શુક્રવારે સવારે તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને અનશન સમાપ્ત કરવા પાછળના કારણો અંગે વિગતવાર માહિતી આપી.
સોનમ વાંગચુકે જણાવ્યું કે, ઘણા લોકો પૂછે છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું? તેમણે કહ્યું કે આ મુદ્દે તેમને કોઈ સ્પષ્ટ ખાતરી મળી નહોતી કે રાજીનામું ક્યારે આવશે. જોકે તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
તેમણે કહ્યું કે તેમની સામે માત્ર બે જ વિકલ્પ હતા – એક તો અનશન ચાલુ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકવો અથવા પછી સંઘર્ષને આગળ વધારવા માટે જીવિત રહેવું. તેમણે કહ્યું કે, હજારો લોકોએ તેમને સમજાવ્યું કે તેમની જિંદગી વધુ મહત્વની છે અને લડત હજુ આગળ પણ ચાલુ રાખવાની છે.
વાંગચુકે વધુમાં કહ્યું કે તેઓ એવું માનતા નથી કે, આંદોલનથી કંઈ હાંસલ થયું નથી. તેમનું કહેવું હતું કે, જો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ન આપ્યું હોય તો તેનાથી વિદ્યાર્થીઓ કે આંદોલનને નુકસાન નહીં થાય, પરંતુ તેમની પોતાની છબીને નુકસાન થશે. જો તેઓ રાજીનામું આપી દીધું હોત તો તેમનું નુકસાન અટકી જાત.
વિદ્યાર્થીઓ સામે કોઈ કેસ ન થાય તે સૌથી મહત્વનું હતું
'સંસદ ચાલો' માર્ચ દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં સોનમ વાંગચુકે કહ્યું કે તેમના માટે સૌથી મહત્વની બાબત એ હતી કે આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ કેસ નોંધવામાં ન આવે. તેમણે જણાવ્યું કે લદ્દાખમાં તેમણે જોયું છે કે એક એફઆઈઆર પણ યુવાનોનું ભવિષ્ય બગાડી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને સરકાર તરફથી વળતર આપવામાં આવશે, જે એક સકારાત્મક નિર્ણય છે. આ ઉપરાંત સંસદમાં પરીક્ષા પ્રણાલીમાં વધતી ગેરરીતિઓ અને જવાબદારીના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સોનમ વાંગચુકે જણાવ્યું કે, સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોના સાંસદોએ તેમને વિશ્વાસ આપ્યો છે કે ભારતીય સંસદમાં પરીક્ષા પ્રણાલીની ખામીઓ અને જવાબદારી અંગે ચર્ચા થશે. સાથે જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ પણ પ્રકારનો કેસ નોંધવામાં નહીં આવે
