નવી દિલ્હીઃ પાકિસ્તાનના વાઘા બોર્ડરના રસ્તે ભારતમાં પાછા ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભારતની સરહદમાં દાખલ થયા અગાઉ ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. વિંગ કમાન્ડર અભિનંદનના ભારત પહોંચવા પર એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદનને અમને સોંપી દેવામાં આવ્યા છે. હવે તેમની બોડી ચેકઅપ કરવામાં આવશે. તેમની વતન વાપસીથી અમે ખુશ છીએ.


એક રિપોર્ટ અનુસાર, અભિનંદન સાથે ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે વાઘા બોર્ડર પર ઔપચારિકતા પૂરી કર્યા પછી ભારતમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને 27 ફેબ્રુઆરીના રોજ ત્યારે અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની એરફોર્સના ફાઇટર જેટે ભારતની હવાઇ સીમાનો ભંગ કર્યો ત્યારે તેને ખદેડવા માટે અભિનંદને  મિગ-21 ફાઇટર જેટથી પીછો કર્યો હતો પરંતુ આ સંઘર્ષ દરમિયાન ભારતનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં સુરક્ષીત ઉતરી ગયા હતા