વર્ષ 2022ને હવે માત્ર 8 જ દિવસ બાકી છે અને નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષ 2022માં શું થયું અને શું ખાસ હતું તેના વિશે અમે તમને જણાવીશું. આખું વર્ષ બિહારની રાજનીતિમાં ઉથલપાથલ રહી હતી અંતે ભૂકંપ પણ આવ્યો જેણે કેન્દ્રને પણ હચમચાવી નાખ્યું હતુ. તેવી જ રીતે બિહારના નેતાઓના નિવેદનો દેશભરમાં ચર્ચાનો વિષય બને છે.


વર્ષ 2022માં કેટલાક નેતાઓના નિવેદનોને લઈને ઘણો વિવાદ થયો હતો. મુખ્યમંત્રીથી લઈને આરજેડી, જેડીયુ અને બીજેપીના નેતાઓએ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જેમાં કેટલીક હેડલાઇન્સ બની હતી જે આખું વર્ષ યાદ રહી શકે તેવી હતી. આવો જાણીએ આવા જ પાંચ નિવેદનો વિશે જેણે બિહારમાં વિવાદ સર્જ્યો હતો. એકે તો મંત્રી પદેથી હાથ પણ ધોવા પડ્યા હતાં. 


પાંચ વિવાદાસ્પદ નિવેદનો


1. "કૃષિ વિભાગના લોકો ચોર છે, હું તે ચોરોનો નેતા છું" - સુધાકર સિંહ (આરજેડી ધારાસભ્ય, બિહારના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન)


બિહારના પૂર્વ કૃષિ મંત્રી તેમના નિવેદનોને કારણે ભૂતપૂર્વ બની ગયા છે. મહાગઠબંધન સરકાર રચાયા બાદ તેમણે શપથ લીધા અને બિહારમાં કૃષિ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સપ્ટેમ્બરમાં કૈમુરમાં તેમની ખેડૂત પત્રકાર પરિષદ દરમિયાન તેમણે તેમના જ વિભાગના સરકારી અધિકારીઓને ચોર કહ્યા હતાં અને પોતાને તે ચોરોનો નેતા ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કૃષિ વિભાગના લોકો ચોર છે અને તે ચોરોના આગેવાન છે. તેમની ઉપર પણ બીજા ઘણા સરદારો છે. સરકાર એ જ જૂની છે અને તેનું વર્તન પણ જુનું જ છે. આ સ્થિતિમાં જનતાને સતત ચેતવણી આપવી પડે છે. આ નિવેદન આવતાની સાથે જ RJD, JDU સહિત સાત પાર્ટીઓના મહાગઠબંધનમાં ખળભળાટ મચી ગયો હતો. વિવાદોનો સમયગાળો શરૂ થયો હતો અને સુધાકર સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સુધાકર આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર છે.


2. 'તમે લોકો ગંદા કામ કરો છો... તમે નશામાં છો' - નીતિશ કુમાર (બિહારના મુખ્ય પ્રધાન)


આ કોઈ વધુ જુની વાત નથી. તાજેતરમાં જ ડિસેમ્બરમાં શિયાળુ સત્ર દરમિયાન બીજા દિવસે જ નીતિશ કુમારે ભાજપ પર બરાબરના ભડક્યા હતાં. નીતિશે કહ્યું હતું કે, તમે લોકો દારૂડિયા બની ગયા છો. તમે આખા બિહારમાં ગંદા કામ કરી રહ્યા છો. બિહારમાં ઝેરી દારૂના કારણે થયેલા મોતના મુદ્દે ગૃહમાં વિપક્ષે મુખ્યમંત્રીને ઘેર્યા. આ દરમિયાન તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે સ્પીકરની સામે ભાજપને ફટકાર લગાવી હતી. નીતિશ કુમારે કહ્યું હતું કે, શું તમે શરાબી બની ગયા છો? તે તમે લોકો છો જે વસ્તુઓને ગડબડ કરી રહ્યા છો. બધાને અહીંથી ભગાડો... તમે સાવ બરબાદ થઈ જશો, તમે કેવી રીતે જીવશો. મુખ્યમંત્રીના આ નિવેદન પર કેન્દ્રના મંત્રીઓએ પણ પ્રતિક્રિયા આપી અને આ નિવેદન ચર્ચામાં આવ્યું હતું.


3. 'બિહારમાં પત્રકારોને દારૂ નથી મળતો, તેથી જ તેઓ મુખ્યમંત્રી વિરુદ્ધ લખે છે' - લાલન સિંહ (જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ)


તેમના બે નિવેદન ચર્ચામાં રહ્યા. એક લાલન સિંહે પત્રકારોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે ચર્ચાનો વિષય રહ્યું હતું. ઓગસ્ટમાં લખીસરાયમાં તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, બિહારમાં પત્રકારો અને અખબારો નીતિશ કુમાર વિરુદ્ધ લખે છે કારણ કે બિહારમાં પ્રતિબંધ છે. તેમને અહીં દારૂ નથી મળતો માટે તેઓ આમ કરે છે. લાલન સિંહે કહ્યું હતું કે, આજે મીડિયા અને અખબારો મુખ્યમંત્રી નીતિશ કુમારની વિરુદ્ધ છે કારણ કે તેમને પીવા માટે દારૂ નથી મળતો. હવે દારૂ પીવા માટે ન મળે તો શું કરવું, હવે મુખ્યપ્રધાને બિહારની જનતા કે પત્રકારોની મજા જોવી જોઈએ.


આ ઉપરાંત લાલન સિંહે વડાપ્રધાનને ડુપ્લિકેટ અને નકલખોર કહ્યા હતા. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. કેન્દ્રના તમામ મંત્રીઓ અને બિહાર ભાજપના મંત્રીઓએ તેની માફી માંગવાની વાત કરી હતી. લાલન સિંહના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો અને આ મુદ્દો લાંબા સમય સુધી ગરમ રહ્યો હતો. લાલન સિંહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ડુપ્લિકેટ ઓબીસી વડાપ્રધાન છે. તેઓ પોતાને પછાત વર્ગના કહેતા ફરે છે જ્યારે હકીકતમાં તેઓ ઓબીસી નથી પણ ડુપ્લીકેટ છે. તેઓ દંભી છે. લલન સિંહના આ નિવેદન પર બિહાર અને કેન્દ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.


4. 'શું CBIવાળાઓના પોતાના પરિવારના બાળકો નથી કે શુ?' - તેજસ્વી યાદવ (બિહારના નાયબ મુખ્યમંત્રી)


તેજસ્વી યાદવે ઓગસ્ટમાં સીબીઆઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શું સીબીઆઈના લોકો જીવનભર કામ કરશે? તેમનો પોતાનો પરિવાર અને બાળકો નથી. ક્યારેક તો નિવૃત્ત થશે ને. તેજસ્વીના આ નિવેદન પર પણ વિવાદ થયો હતો. આ અંગે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. તેજસ્વીએ કહ્યું હતું કે “શું તે આખી જિંદગી ઓફિસર જ રહેશ? શું તે નિવૃત્ત નહીં થાય? શું તેનો પરિવાર નથી? શું એક જ સરકાર સત્તામાં રહેશે? જો તમને બંધારણીય સંસ્થાની જવાબદારી મળી છે તો તેને શાંતિથી પૂરી કરો.


5. 'જો બિહારના અધિકારીઓ નહીં સાંભળે તો તેમને વાંસથી મારજો'- ગિરિરાજ સિંહ (કેન્દ્રીય મંત્રી)


કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે માર્ચ 2022માં બિહારના અધિકારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બેગુસરાયમાં એક કાર્યક્રમમાં તેમણે મંચ પરથી કહ્યું હતું કે, જો કોઈ અધિકારી તમારી વાત ન સાંભળે તો બંને હાથે વાંસ ઉઠાવો. તેમને ફટકારો. મારે નાની નાની વાતો કહેવાની જરૂર નથી. આ તમારો અધિકારી છે. ગિરિરાજના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો અને તેઓ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. આ સિવાય પણ ઘણા નેતાઓના આવા નિવેદનો છે જે હેડલાઇન્સમાં રહ્યા છે.