ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત પછી દિલ્લીની પ્રથમ મુલાકાતમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 5 વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ યોગી આદિત્યનાથને યુપીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મીટિંગની માહિતી આપી હતી. PM મોદીએ લખ્યું, "આજે યોગી આદિત્યનાથજીને મળ્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઉંચાઈઓ પર લઈ જશે."






સૂત્રોના જણાવ્યા અનુસાર 20-21 માર્ચે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. યોગીની નવી કેબિનેટ માટે લગભગ 57 મંત્રીઓ શપથ લઈ શકે છે, એવું અનુમાન છે કે, 22-24 કેબિનેટ મંત્રીઓ હશે.


આ પહેલાં યોગીએ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય રાજધાનીમાં બે દિવસ રોકાય તેવી શક્યતા છે. યુપી વિધાનસભાની 403 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે અને તેમના બે સહયોગી પક્ષોએ 18 બેઠકો જીતી છે.