Yusuf Pathan MP news: શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી (TMC) છોડીને NCP(I) માં જોડાયેલા પૂર્વ ક્રિકેટર અને વર્તમાન લોકસભા સાંસદ યુસુફ પઠાણ ફરી એકવાર પોતાનો રાજકીય રંગ બદલશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે, બુધવારે (5 ઓગસ્ટ) તેમણે બંગાળમાં 27 થી 32 લાખ જેટલા મતદારોના નામ કથિત રીતે યાદીમાંથી કાઢી નાખવા મામલે સીધો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને પત્ર લખ્યો છે. પઠાણે આ મતદાર યાદીઓની યોગ્ય ચકાસણી માટે દરેક જિલ્લામાં વિશેષ 'ટ્રિબ્યુનલ કોર્ટ' સ્થાપવાની મોટી માંગ કરી છે. યુસુફ પઠાણ દ્વારા ઉઠાવવામાં આવેલો મતદાર યાદીનો આ મુદ્દો હવે આગામી દિવસોમાં ભાજપ (BJP) માટે પણ મોટી મુશ્કેલી અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.

Continues below advertisement

યુસુફ પઠાણે પોતાના પત્રમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, મતદારોના નામોની ચકાસણી પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બનાવવા માટે દરેક જિલ્લા સ્તરે ટ્રિબ્યુનલ કોર્ટની સ્થાપના કરવી જોઈએ. આ ઉપરાંત, લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સમયસર મદદ મળી રહે તે હેતુથી એક ખાસ હેલ્પ ડેસ્ક (Help Desk) પણ શરૂ કરવામાં આવે.

યુસુફ પઠાણે મીડિયા સમક્ષ શું કહ્યું?

Continues below advertisement

આ અંગે સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા યુસુફ પઠાણે જણાવ્યું હતું કે, "હું ગઈકાલે સુવેન્દુ અધિકારીને મળ્યો હતો અને તે સમયે અમારી સાથે અન્ય ત્રણ સાંસદો પણ હાજર હતા. બંગાળમાં 27 લાખથી 32 લાખ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે કાઢી નાખવામાં આવ્યા છે. આ નામો કાઢી નાખવા મામલે હવે ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયું છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને પ્રક્રિયા એકદમ સરળ બનાવવી જોઈએ. અમે દરેક જિલ્લામાં એક ટ્રિબ્યુનલ સ્થાપવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે દેશના કોઈપણ નાગરિકને આનાથી કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડે."

તમને જણાવી દઈએ કે, બંગાળ વિધાનસભા ચૂંટણી પછી TMC સામે બળવો કરીને NCP(I) માં જોડાનારા 20 સાંસદોમાં જાંગીપુરના ખલીલુર રહેમાન, મુર્શિદાબાદના અબુ તાહેર ખાન અને બહેરામપુરથી યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. આ NCP(I) એ પાછળથી ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. જોકે, હજુ સુધી NCP(I) ને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાના સત્તાવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....

શું બળવાખોર સાંસદો ફરી TMCમાં જોડાશે?

છેલ્લા કેટલાક દિવસોથી એવા મોટા અહેવાલો વહેતા થયા છે કે, ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન અને યુસુફ પઠાણ NDA થી નારાજ ચાલી રહ્યા છે અને આ ત્રણેય નેતાઓ ફરીથી TMC માં પાછા ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ અટકળોને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે તાજેતરમાં જ આ ત્રણેય સાંસદો NDA સંસદીય દળની 'મંગલ મિલન' બેઠકથી દૂર રહ્યા હતા. એટલું જ નહીં, મંગળવારે સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતા અબુ તાહેર ખાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, "અમે હવે NDA સાથે નથી, કે અમે BJP માં પણ જોડાઈ રહ્યા નથી. તમે લોકો ખાતરી રાખો, અમે ક્યારેય મુસ્લિમો વિરુદ્ધ લેવાતા કોઈપણ પગલાંને સમર્થન નહીં આપીએ."

જ્યારે TMC ના અન્ય બળવાખોર સાંસદ શતાબ્દી રોયને આ ત્રણ સાંસદોની નારાજગી અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ટૂંકમાં જ જવાબ આપતા કહ્યું હતું કે, "આ ત્રણેય સાંસદોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને પોતાના મુદ્દાઓ તેમની સમક્ષ મૂક્યા છે."