નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં ત્રીજા નંબર પર હાલ ભારત છે, ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કોરોનાની સંપૂર્ણ દવા હજુ સુધી શોધાઇ નથી, પરંતુ વાયરસની અસર ઓછી કરનારી દવા તરીકે અત્યારે ‘રેમડેસિવિર’નો ઉપયોગ થઇ રહ્યો છે. આની માંગમાં સતત વધારો થતો હવાને લઇને હવે દેશની મોટી ફાર્મા કંપની ઝાયડસ કડિલાએ આનુ વર્ઝન બજારમાં ઉતારી દીધુ છે, ખાસ વાત છે કે આ દવાનુ સૌથી સસ્તુ વર્ઝન છે.


અમેરિકન ફાર્મા કંપની ગિલીડ સાયન્સીઝ તરફથી તૈયાર કરવામાં આવેલી આ એન્ટીવાયરસ દવા દુનિયાભરમાં કોરોનાની વિરુદ્ધ ઇલાજ માટે ઉપયોગમાં લેવામા આવી રહી છે. આ દવા આ વાયરસને પુરેપુરી રીતે ઇલાજ તો નથી કરતી, પરંતુ આની અસરને 15ની જગ્યાએ 11 દિવસનો કરી દે છે.

ભારતમાં વધતી માંગની વચ્ચે ઝાયડસ કેડિલાએ આ દવાનો સૌથી સસ્તુ જેનેરિક સંસ્કરણ ભારતમાં લૉન્ચ કરી દીધુ છે, આની કિંમત 2800 રૂપિયા પ્રતિ 100 મિલિગ્રામ (શીશી) રાખવામાં આવી છે. આની સાથે ઝાયડસ પાંચમી એવી કંપની બની છે, જે ભારતમાં આ દવાને બનાવી રહી છે.



ઝાયડસ પહેલા ગિલીડે ભારતીય કંપનીઓ સિપ્લા, જુબિલિએન્ટ લાઇફ હિટેરો ડ્રગ્સ અને માઇલૉન એનવીને ભારતમાં આ દવાના ઉત્પાદનની પરવાનગી આપી હતી. આ ચારેય કંપનીઓ પણ ‘રેમડેસિવિર’ની કૉપી ભારતમાં પહેલા જ ઉતારી ચૂકી છે.

ગિલીડ સાયન્સીસે આફ્રિકન મહાદ્વીપમાં કેર વર્તાવનારા ઇબોલા વાયરસના ઇલાજ માટે આ દવાને ડેવલપ કરી હતી, જે હવે ખાસ સ્થિતિઓમાં કોરોનાના ઇલાજ માટે પણ ઉપયોગ કરવામાં આવી રહી છે.

એટલુ જ નહીં ઝાયડસ કેડિલા કોરોનાના ઇલાજ માટે વેક્સિનના નિર્માણમાં લાગી છે, ભારત બાયૉટેક ઉપરાંત ઝાયડસ કેડિલા જ બીજી એવી ભારતીય કંપની છે, જેને વેક્સિન નિર્માણની પરવાનગી મળી છે, અને કંપની પહેલા સ્ટેજના ટ્રાયલમાં છે.