Joshimath-Rishikesh Road: જોશીમઠથી ઋષિકેશ સુધીનો માર્ગ ભૂસ્ખલનથી ખૂબ પ્રભાવિત છે. અભ્યાસ મુજબ ભૂસ્ખલનનું કારણ રોડનું નિર્માણ અને તેને પહોળું કરવાનું પણ હોઈ શકે છે.


Joshimath Rishikesh Road Landslide:


જોશીમઠમાં જમીન ધસી પડવા અને ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઋષિકેશથી જોશીમઠ વચ્ચે 309 સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એટલે કે દર એક કિલોમીટરે 1થી વધુ ભૂસ્ખલન થયું છે. અભ્યાસ દર્શાવે છે કે જોશીમઠની આસપાસના પર્વતો કેવી રીતે અસ્થિર છે.


10 જાન્યુઆરીના રોજ યુરોપિયન જીઓસાયન્સ યુનિયનમાં ચર્ચા દરમિયાન અને ભારતીય-વિદેશી વૈજ્ઞાનિકોની ટીમે અભ્યાસની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વરસાદ જેવા કુદરતી કારણો સિવાય રસ્તાનું નિર્માણ અને પહોળું થવું પણ આ ભૂસ્ખલન પાછળનું કારણ હોઈ શકે છે. આ ભૂસ્ખલન મોટાભાગે નાના હોય છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિકને ભારે નુકસાન પહોંચાડે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભૂસ્ખલનની માપણી કરવામાં આવી હતી.


મોટાભાગના ભૂસ્ખલન તાજા :


અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ રોડ ભૂસ્ખલનથી ખૂબ પ્રભાવિત છે. આ ભૂપ્રદેશના ઢાળ અને નબળા ઢોળાવ, કેન્દ્રિત વરસાદ અને વારંવાર ધરતીકંપના આંચકાઓને આભારી છે. એવું કહેવાય છે કે મોટાભાગના ભૂસ્ખલન તાજા જણાતા હતા.


'નેચરલ હેઝાર્ડ્સ એન્ડ અર્થ સિસ્ટમ સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ જુર્ગેન મે, રવિ કુમાર ગુન્ટુ, એલેક્ઝાન્ડર પ્લાકિયાસ, ઇગો સિલ્વા ડી અલ્મેડા અને વોલ્ફગેંગ શોંગહોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.


ગૂગલ અર્થ પરથી મેળવ્યું ચિત્ર :


અધ્યયનમાં, ગૂગલ અર્થમાંથી મેળવેલી છબીઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસ્તામાં અવરોધ ઉભો કરનાર 21% ભૂસ્ખલન પહેલાથી હતા. તે જ સમયે, વરસાદને કારણે 17.8% ભૂસ્ખલન ફરીથી સક્રિય થયા, જ્યારે 60.8% ભૂસ્ખલનની ઈમેજ  Google અર્થમાંથી શોધી શક્યા નથી.


અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હિમાલયના ક્ષેત્રમાં રોડ નિર્માણમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં હિમાલયના રાજ્યોમાં 11,000 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અભ્યાસ મુજબ, "પ્રદેશની જમીનની નબળી સ્થિતિ તેમજ ઢોળાવ કાપવાની નબળી પદ્ધતિઓએ આ રસ્તાઓની જાળવણીને પડકારજનક બનાવી છે.


અભ્યાસમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ ઉત્તરાખંડમાં છેલ્લા ચાર વર્ષમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં લગભગ 160 લોકોના મોત થયા છે.