નવી દિલ્લીઃ કોરોનાની સારવાર માટે કોરોનિલ દવા બનાવવાનો દાવા કનારનારા પતંજલિ યોગ પીઠે વિવાદ પછી દવાને લઈને યુ ટર્ન લીધો છે. પતંજલિ યોગ પીઠના આચાર્ય બાલૃષ્ણે હવે કહ્યું છે કે, તેમણે કોરોનાની દવા બનાવી નથી. આચાર્ય બાલકૃષ્ણ પ્રમાણે પતંજલિએ ઇમ્યુનિટીની દવા બનાવી છે અને તેના ઉપયોગથી કોરોના મટી જાય છે.


નોંધનીય છે કે, પતંજલિ દ્વારા કોરોનાની દવા કોરોનિલ લોંચ કર્યા પછી આયુષ મંત્રાલય દ્વારા આ દવાના પ્રચાર અને પ્રસાર પર રોક લગાવી દીધી હતી. તેમજ તેમને આ અંગે પતંજલિ દ્વારા કોઈ જાણકારી આપવામાં ન આવી હોવાનો પણ ખુલાસો કર્યો હતો. આ પછી પતંજલિએ તેમને સંશોધનને લગતા ડોક્યુમેન્ટ્સ મોકલી આપ્યાનો દાવો કર્યો હતો.

એટલું જ નહીં, ઉત્તરાખંડ સરકારે પતંજલિ યોગ પીઠ દ્વારા કોરોનાની સારવાર માટેની દવા બનાવવાની મંજૂરી નહીં, પરંતુ શરદીની દવા બનાવવા માટેની મંજૂરી મેળવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે પતંજલિએ ફેરવી તોળ્યું છે અને તેમણે કોરોનાની દવા નહીં, પરંતુ ઇમ્યુનિટીની દવા બનાવી હોવાનો દાવો કર્યો છે.