નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા સવા બે મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સદનમાં ખેડૂત આંદોલન પર પૂરતી ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને બતાવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં. મહત્તમ સમય જે વાત થઈ તે આંદોલનને લગતી હતી. પરંતુ કઈ વાતને લઈને આંદોલન છે ? તેના પર સૌ મૌન છે. જે મૂળભૂત વાત છે તેના પર પણ ચર્ચા થવી જોઈએ. આંદોલન પર રાજનીતિ હાવિ થઈ રહી છે. વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે.


સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મનમોહન સિંહે જે કહ્યું હતું તે કૃષિ સુધારા કરવામાં આવ્યા છે. દરેક સરકારોએ કૃષિ સુધારાની વકાલત કરી છે. સુધારાની વાત કરનારા વિપક્ષે યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, આંદોલનકારીઓને સમજાવીને દેશે આગળ વધવુ પડશે.

પીએમ મોદીએ સદનમાં મનમોહન સિંહના કથનને વાંચતા કહ્યું કે, મનમોહન સિહે કહ્યું હતું, અમારા વિચારો છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારા પ્રયાસ છે ખેડૂતોને ઉપજ વેચવાની મંજૂરી મળવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે.

ખેડૂત આંદોલન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેતીની મૂળભૂત સમસ્યા શું છે. તેના મૂળ ક્યાં છે. હું આજે પૂર્વ વડાપ્રધાન ચૌદરી ચરણજીની વાત કહેવા માંગુ છું. તેઓ નાના ખેડૂતોની સ્થિતિને લઈ હંમેશા ચિંતા કરતા હતા. તેમણે કહ્યું કે, કૃષિ સુધારાની વાત કરવાવાળા અચાનક પાછળ હટી ગયા છે. પહેલાની સરકારોના વિચારોમાં નાના ખેડૂતો ક્યાં હતા ? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ એક કાર્યક્રમ કરે છે લોનમાફી, આ વોટનો કાર્યક્રમ છે કે દેવામાફીનો તે દેશના નાગરિકો જાણે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણે સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે.

વડાપ્રધાને કહ્યું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવું પડશે.