Pravasi Bharatiya Divas 2023: પ્રવાસી ભારતીય દિવસ 2023ને સંબોધતા વડાપ્રધાને પરદેશમાં રહેતા ભારતીયોને, વિદેશની ધરતી પર ભારતના રાજદૂત ગણાવ્યા હતા. પીએમએ કહ્યું કે ઈન્દોર માત્ર શહેર નથી તે એક જમાનો છે.


Pravasi Bhartiya Divas Convention: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં પોતાની હાજરી આપી હતી. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ પરપ્રાંતીયો પોતાની માટીને નમન કરવા આવ્યા છે.


પીએમ મોદીએ કહ્યું કે, લોકો માટે ઈન્દોર એક શહેર છે,  પરંતુ હું કહું છું કે ઈન્દોર એક સમયગાળો છે, જે પોતાની ધરોહર રાખે છે. કેટલાક લોકો ઇન્દોરને સ્વચ્છતાની સાથે સ્વાદની રાજધાની પણ કહે છે.


PM એ કહ્યું કે લગભગ 4 વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ફરીથી તેના મૂળ સ્વરૂપમાં યોજાઈ રહ્યું છે. દેશનું હૃદય કહેવાતા મધ્યપ્રદેશની ધરતી પર આ સંમેલન યોજાઈ રહ્યું છે.


પ્રવાસી દીવસને ગણાવ્યો ખાસ: 


તેમણે વધુમાં કહ્યું કે આ પ્રવાસી ભારતીય દિવસ ઘણી રીતે વિશેષ છે. થોડા મહિના પહેલા જ આપણે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી છે. અહીં સ્વતંત્રતા સંગ્રામની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે. ભારતનું વૈશ્વિક વિઝન વધુ મજબૂત બનશે.


વિશ્વના ઘણા બધા દેશોમાં જ્યારે ભારતના લોકોમાં એક સામાન્ય પરિબળ છે, તેઓમાં વસુધૈવ કુટુંબકમની ભાવના દેખાય છે. જ્યારે ભારતના વિવિધ પ્રાંતો અને પ્રદેશોના લોકો વિશ્વના કોઈ એક દેશમાં મળે છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુખદ અનુભૂતિ થાય છે.


G20 વિશે ઉલ્લેખ કર્યો:


પીએમ મોદીએ જી-20માં ભારતની ઉપલબ્ધિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ વર્ષે ભારત વિશ્વના G20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે.


પીએમએ કહ્યું કે આખી દુનિયા આપણા વિદેશી ભારતીયોના યોગદાનનું મૂલ્યાંકન કરે છે. તેના દ્વારા મજબૂત અને સક્ષમ ભારતનો અવાજ પણ સંભળાય છે.