રાજકોટઃ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાના છે અને બાળકો પર વધારે જોખમ ની વાતને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લાની અંદર બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોને આરોગ્યને લઈને ત્રણ કેટેગરી માં સર્વે કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરના ખાનગી ડોક્ટરો પણ બાળકોના આરોગ્યને લઇને ખૂબ જ સજાગ જોવા મળી રહ્યા છે. 


કોરોનાની ત્રીજી લહેરને પગલે બાળકોમાં સંક્રમણનું જોખમ ઉભું થઇ શકે છે તેવી નિષ્ણાંતો દ્રારા આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્રારા ગ્રામ્યસ્તરે બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેના પગલે વહીવટી વિભાગ દ્રારા બાળકોને ત્રણ અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જેમાં કોરોના સંક્રમિત થવાની શક્યતા હોય તેવા બાળકો, વધારે શક્યતા હોય તેવા બાળકો અને ઓછી શક્યતા હોય તેવા બાળકો.અત્યાર સુઘીમાં 147000 બાળકોનું સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આંગણવાડીના બાળકો દ્રારા 70 ટકા બાળકોનું સ્ક્રેનિંગ કરવામાં આવ્યું છે.


જ્યારે આરોગ્ય વિભાગની 2899 જેટલી મેડિકલ ટીમ દ્રારા ચકાસણી કરવામાં આવી છે.1061 લોકોને ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપી છે. 155 બાળકોને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 44 બાળકોને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ બાળકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. મહત્વનું છે કે ત્રીજી લહેરની આશંકાને પગલે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વહીવટી વિભાગ દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેને પગલે જિલ્લાના તમામ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં  ત્રીજી લહેર પહેલા બાળકોનો સર્વે કરનાર રાજકોટ બીજો જિલ્લો બન્યો છે.


રાજકોટ શહેરમાં પણ અલગ અલગ પીડીયાટ્રીક સર્જનો દ્વારા બાળકોના આરોગ્યને લઇને ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સાથે જ બાળકોના નિષ્ણાંત ડોક્ટરો પણ અલગ-અલગ મુદ્દે વારંવાર ઓનલાઈન કે ઓફલાઈન ચર્ચાઓ કરી રહ્યા છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે અને બાળકો વધુ સંક્રમિત થાય તો કઈ રીતની તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ મોટાભાગના પીડીયાટ્રીક સર્જરી બાળકોના માતા-પિતા ને પણ સજાગ કરી રહ્યા છે .તે બાબતે ખાનગી પીડીયાટ્રીક સર્જનએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.


કોરોનાની બીજી લહેરમાંથી દરેક વર્ગના લોકોને ઘણું બધું શીખવા મળ્યું, ત્યારે ત્રીજી લહેરમાં આવું ન થાય તે માટે આરોગ્ય વિભાગ તો સજજ છે, સાથે સાથે જ ખાનગી ડોક્ટરો અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકો જાગૃત થયા હોય તે પ્રમાણેનું માહોલ જોવા મળી રહ્યો છે.