રાજકોટઃ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. ત્યારે આગકાંડમાં હોસ્પિટલના કર્મચારીની બહાદૂરીને કારણે કોરોનાના સાત દર્દીઓનો જીવ બચી ગયો હતો.

હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતા તેણે જીવના જોખમે કોવિડના સાત દર્દીઓને વારાફરતી ખભા પર ઉંચકી અગાસી પર પહોંચાડ્યા હતા. અમુક દર્દીઓનું વજન વધું હોવા છતા અજયે હિંમત કરીને તેમનો જીવ બચાવ્યો હતો. આ સાતેય દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય એક ડોક્ટર કરમટાએ તો કોવિડ વોર્ડ હોવા છતાં પીપીઈ કીટ પણ પહેર્યા વિના વોર્ડમાં દોડી જઈને તેના હાથથી જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને અમુક દર્દીઓને ઉંચકીને બહાર ખસેડયા હતા. જેને કારણે બાકીના દર્દીઓનો જીવ બચ્યો હતો.

એક જોરદાર ધડાકો પછી સેનેટાઈઝર સહિત ઓક્સિજનનાં ફ્લોનાં કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ અફરાતફરી મચી ગઇ હતી. અને કેટલાક દર્દીઓ આગથી બચવા બાથરૂમમાં પુરાઈ ગયા હતા. હોસ્પિટલનાં સ્ટાફે તમામ કાંચ તોડી નાખ્યા બાદ ધુમાડો ઓછો થતા દર્દીઓ માંડ શ્વાસ લઈ શક્યા હતા.