રાજકોટઃ ગુજરાતમાંથી ભાજપના સાંસદ અભય ભારદ્વાજને અંતે સારવાર માટે ચેન્નાઈ લઈ જવાની ફરજ પડી છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચાર્ટર પ્લેન દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવશે.


અભય ભારદ્વાજને કોરોનાનો ચેપ લાગવાથી ફેફસાંમાં ગંભીર તકલીફ ઊભી થઈ છે. તેમનાં ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં ઓક્સિજન પહોંચતો નથી તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજને લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી રહી છે પણ આ સમસ્યા ના ઉકેલાતાં હવે તેમને ચેન્નાઈ લઈ જવાશે.

અભય ભારદ્વાજની આ તકલીફના કારણે અમદાવાદથી આવેલી ટીમે પણ તેમની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું. ફેફસાંના નિષ્ણાત ડો. સમીર ગામી મોડી રાત્રે ચાર્ટર પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી પણ તેમની તકલીફ ચાલુ રહેતાં તેમને ચેન્નાઈ લઈ જવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.