રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ધીમી પડી ગયું છે અને એક્ટિવ કેસો હવે માત્ર 150 જ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રથી વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના 7 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જોકે, હજુ 4 જિલ્લામાં કોરોનાના કેસો છે. 


સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ અને ભાવનગરમાં હજુ કોરોનાના કેસો છે, જેમાં સૌથી વધુ ભાવનગર અને રાજકોટમાં 5-5 એક્ટિવ કેસ છે. પોરબંદરમાં અને ગીર સોમનાથમાં 1-1 એક્ટિવ કેસ છે. આમ, હવે સૌરાષ્ટ્રમાં માત્ર 12 જ એક્ટિવ કેસ રહ્યા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,331 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની પાંચ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 20 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.


રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,331 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3 , ખેડા 2, કચ્છ 2, રાજકોટ 2, નવસારી 1, સાબરકાંઠા 1,  વડોદરામાં 1 અને વલસાડમાં  1 કોરોનાનો નવો  કેસ નોંધાયો છે.  


રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20  લોકોને પ્રથમ ડોઝ અને 7001 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 82650 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 81989 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 239757 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 168653 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 5,80,070 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,13,75,419 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમા એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.