Lok Sabha Election 2024:  ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે.ઉમેદવારી પત્ર ભરતા અગાઉ રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધશે.


ભાજપે શરૂ કરી તૈયારી


શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક આગામી 16 તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16 તારીખના રોજ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!'. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે. આ વીડિયોમાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ શહેરના અલગ-અલગ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એકબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનો અને સભાઓ ભરાઇ રહી તો, તો બીજીબાજુ પરશોત્તમ રૂપાલા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારે પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે.


પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં 


રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને ઠેર ઠેર સભાઓ, રેલીઓ અને મહાસંમેલન યોજાઇ રહ્યાં છે, ત્યારે હવે પાટીદાર સમાજે રૂપાલાને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ છે. આજે સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. પાટીદારોએ રૂપાલાને સમર્થન આપતા પૉસ્ટરો લગાવવાનું શરૂ કર્યુ છે. આ સાથે જ હવે લડાઇ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોથી આગળ વધીને પાટીદારો પર પણ આવી છે. અત્યારે રાજ્યમાં ભાજપ માટે કપરાં ચઢાંણ છે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ સતત વધી રહ્યો છે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે.


ગુજરાતમાં રૂપાલા વિવાદ સતત વધી રહ્યો છે. ક્ષત્રિયોએ ગઇકાલે ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રૉડ પર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે.