Rajkot: સિવિલ હોસ્પિટલમાં નોકરીની લાલચે છેતરપિંડીની ઘટના, માંગરોળના શખ્સે 7 લોકો પાસેથી 10 લાખ ખંખેર્યા
Rajkot: સરકારી નોકરીની લાલચ આપીને યુવાનોને છેતરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે

Rajkot: રાજકોટમાં સરકારી હૉસ્પિટલમાં નોકરીની લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિએ સાત યુવકોને નોકરી અપાવવાનું કહીને 10 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી છે, હાલમાં પોલીસે માંગળરોળના આશિષ રાઠોડ નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આશિષ રાઠોડે પોતાની ઓળખ જૂનાગઢ સિવિલના ડીન તરીકે આપીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
સરકારી નોકરીની લાલચ આપીને યુવાનોને છેતરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને રૂ. 10.95 લાખની છેતરપિંડી આચરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી તરીકે માંગરોળના આશિષ રાઠોડ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આશિષ રાઠોડે યુવકોને વિશ્વાસમાં લેવા માટે પોતાની ઓળખ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડીન તરીકેની આપી હતી, જે તદ્દન ખોટી હતી. આશિષ રાઠોડે કુલ 7 જેટલા યુવકો પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાને મોટી રકમ ખંખેરી હતી. તેણે યુવકોને ગુજરાતની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.
આ ઘટનામાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ, ચોટીલા સિવિલ હોસ્પિટલ, પડધરી સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે, આમાં આરોપીએ યુવકોને મુખ્યત્વે પટાવાળા, સફાઈ કામદાર અને ક્લાર્ક જેવી જગ્યાઓ પર નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા. નોકરીની લાલચમાં યુવકોએ આરોપીને તબક્કાવાર કુલ રૂ. 10.95 લાખ ચૂકવી દીધા હતા. જોકે, નોકરી ન મળતાં અને આરોપીએ બહાના કાઢવાનું શરૂ કરતાં યુવકોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ છેતરપિંડી અંગે ભોગ બનનાર યુવકોએ આખરે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે આશિષ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં મહિલા કૉન્સ્ટેબલની આત્મહત્યા, ઘર કંકાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી
રાજકોટમાંથી વધુ એક પોલીસ કર્મીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે મહિલા કૉન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. માહિતી પ્રમાણે, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કૉન્સ્ટેબલ, જેનું નામ હરસિદ્ધિબેન ભારડીયા છે, જેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. 8 સપ્ટેમ્બરના દિવસે મહિલા કૉન્સ્ટેબલે ઝેરી પાવડર ખાઇને આત્મહત્યા કરી હતી, જે પછી તેને સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લવાઇ હતી, અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મહિલા કૉન્સ્ટેબલનું મોત નીપજ્યુ છે. મહિલા કૉન્સ્ટેબલના નિધનને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, પતિ કોઇ કામ ધંધો ના કરતો હોવાથી વારંવાર મહિલા કૉન્સ્ટેબલના ઘરમાં ઘરકંકાસ થતો રહેતો હતો.





















