રાજકોટઃ ગુજરાત સહિત હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવતાં તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, નવરાત્રિને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, રાજકોટ માં નવરાત્રી ગરબાના આયોજનને લઇ ઉત્સાહનો અતિરેક જોવા મળ્યો છે.


સરકારે હજુ ગરબા આયોજનને આપી નથી મંજૂરી છતાં પાસ બુકીંગની જાહેરાત કરી દેવામાં આવી છે. નવરાત્રીમાં મોટા પાયે ગરબા આયોજન થઇ શકે કે નહિ તે  અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. હાલના તબક્કે ગરબા આયોજન અંગે કોઈ જ છૂટછાટ જાહેર નથી કરાઈ  છતાં રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી દીધી છે.

ગત 27મી જુલાઇએ ગરબા આયોજકોએ મુખ્યમંત્રી સાથે આ મુદ્દે વાત કરી હતી. મુલાકાત પછી ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિ નહીં યોજાય. આમ, કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજન માટે મંજૂરીના આયોજનની શક્યતા નહીંવત છે. જોકે,પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.