હાલ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ વખતે મેઘરાજા સૌરાષ્ટ્રમાં મહેરબાન થયા છે ત્યારે દ્વારકામાં હાલની સ્થિતિ જોવા એવું લાગે છે કે, દ્વારકામાં અતિવૃષ્ટિ જાહેર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 30 વર્ષ કરતાં ત્રણ ઘણો વરસાદ દ્વારકામાં આ સિઝનમાં ખાબક્યો છે. દ્વારકામાં અત્યાર સુધી 82 ઈંચ વરસાદ ખાબક્યો છે.


દ્વારકાના ભાણવડ તાલુકામાં 360 ટકા, ખંભાળિયામાં 348 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ ગયા હતાં. જ્યારે ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત ગીર સોમનાથમાં સિઝનના વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં તાલાલામાં 70 ઈંચ, કોડીનારમાં 59 ઈંચ, સુત્રાપાડામાં 61 ઈંચ
ગીર ગઢડામાં 52 ઈંચ, ઉનામાં 45 ઈંચ અને વેરાવળમાં 52 ઈંચ ખાબક્યો છે.

મહત્વની વાત એ છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી વચ્ચે સતત પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણાં ગામો બેટમાં ફેરવાયા હતાં.