સુરત: આર્થિક તંગીના કારણે આપઘાતનો રસ્તો અપનાવતા યુવાનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં 30 વર્ષે યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવક છેલ્લા બે મહિનાથી નોકરીની શોધમાં હતો. પણ નોકરી ન મળતાં તણાવમાં આવી અંતિમ પગલું ભરી લીધું હતું.


પાંડેસરા વિસ્તારમાં આવેલા પુનિત નગરમાં 30 વર્ષીય અજય સોનવાણે ત્રણ વર્ષની દીકરી અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. અજય પરિવાર સાથે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. બે મહિનાથી અજય નોકરીની શોધમાં હતો. જોકે અજયને નોકરી મળી રહી ન હતી. જેથી તે તણાવમાં આવી ગયો હતો અને પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતો ન હતો.


નોકરી ન મળવાના કારણે અજય એટલો તણાવમાં આવી ગયો હતો કે આજે ઘરના રસોડામાં હૂંક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પત્નીએ બૂમાબૂમ કરી દીધી હતી તેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને અજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


અજયના આપઘાત અંગે સિવિલ હોસ્પિટલમાંથી જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ પરિવારજનોના નિવેદન લીધા હતા અને અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અજયના આપઘાતથી ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


પતિએ દ્વારકા સાથે લઈ જવાની ના પાડતા પત્નીએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ


સુરત: શહેરના નવા વેડ - વરિયાવ બ્રિજ પરથી પરણિતાએ મોતની છલાંગ લગાવી છે. સુરતની મહિલાને પતિની વાતનું માઠુ લાગતા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સુરતમાં અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ - વરિયાવ બ્રિજ પરથી નીચે પડતુ નમુકી મહિલાએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે.


બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું. 


આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઊંડા પાણીમાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન અંજલીબેન મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.  જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પતિએ દ્વારકા આવવાની મનાઈ કરી હતી એટલે માઠું લાગ્યું હોવાની વાત સામે આવી છે. આ બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. 









પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. જેથી અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું પરંતુ,  ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી. અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું. જે વાતનું અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું.  અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.  અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.