Surat News: ગજેરા બંધુઓ સામે હાઈકોર્ટના આદેશ બાદ છેતરપિંડીની ફરિયાદ દાખલ
સુરતમાં ગજેરા બંધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સુરત ઇકો સેલે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.

સુરત: સુરતમાં ગજેરા બંધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સુરત ઇકો સેલે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી પ્રવિણ અગ્રવાલ શાંતી રેસીડેન્સીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. આરોપ છે કે ફરિયાદીના નામનો એક બોગસ રાજીનામું આપતો લેટર તૈયાર કર્યો. આ લેટરમાં ફરિયાદીની ખોટી સહીઓ કરવામાં આવી હતી અને તેને આધારે તેમને કંપનીના ડિરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા અને મિલેનીયમ પ્રોજેક્ટની દુકાનોના વેચાણમાં પણ ભારે ગેરરીતિના આરોપ છે અને જંત્રી સિવાયની 84 ટકા રકમ ગેરકાયદેસર રીતે પચાવી હોવાનો દાવો છે. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી જાનથી મારવાની ધમકીનો પણ આરોપ લાગ્યો છે.
કુલ 8થી વધુ શખસો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ચુનીભાઇ હરીભાઇ ગજેરા, વસંત હરીભાઇ ગજેરા, અશોકભાઇ હરીભાઇ ગજેરા સહિત કુલ 8થી વધુ શખસો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી સરકારી રેકોર્ડમાં પણ ચેડાં કર્યા હતા. કોડ સોલ્યુશન્સના ડીલર ગૌતમ પ્રજાપતિની મદદથી બોગસ ડિજિટલ સહીઓ ઉભી કરવામાં આવી હતી. કંપનીના શેર હોલ્ડિંગમાં ફેરફાર કરવા માટે પણ રાકેશ ગજેરાએ ફરિયાદી, તેમની પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટરમાં કરી હતી. આ રીતે ફરિયાદીના પરિવારનો કંપનીમાં રહેલો હિસ્સો ગેરકાયદેસર રીતે ઘટાડી દઈ આરોપીઓએ આર્થિક ફાયદો મેળવ્યો હતો.
કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો
અગાઉ સ્થાનિક કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રવિણ અગ્રવાલ ‘શાંતિ રેસીડન્સીસ પ્રાઇવેટ લિમિટેડ’માં 43 ટકા હિસ્સો ધરાવતા હતા. આ હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુઓએ મોટું ષડયંત્ર રચ્યું હતું. કંપનીની મિલકતો માર્કેટ ભાવે વેચી, ચોપડે માત્ર જંત્રીની રકમ બતાવી કરોડોની ઉચાપત કરી હતી. આ નાણાં હવાલા મારફતે હોંગકોંગ મોકલાયા હતા. ફરિયાદીની બોગસ ડિજિટલ સહી કરી તેમનું રાજીનામું અપાવી ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા. બનાવટી સહીઓ દ્વારા ફરિયાદીનો 43 ટકા હિસ્સો ઘટાડીને માત્ર 4.02 ટકા કરી દેવામાં આવ્યો હતો.આ સમગ્ર બાબતે ફરિયાદી પ્રવિણ અગ્રવાલે સુરતના પોલીસ કમિશનરને સંબોધીને ફરિયાદ કરી હતી પરંતુ જે તે સમયે ગુનો દાખલ નહીં થતા પ્રવિણ અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ પીટિશન દાખલ કરીને ગુનો નોંધવાની માંગણી કરી હતી.























