સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 31 વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહનસીંગ ઉર્ફે મોહનભૈયા નરવાડસીંગ ડાવરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 1993માં આર્મ્સ એક્ટના મુજબના ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા.  આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં 2017માં પણ બનાવટી હથીયારો બનાવી સપ્લાય મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. 


આરોપી આશરે 40 વર્ષથી હથિયારો બનાવતો હતો અને વેચતો હતો. આરોપી જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્રારા અલગ-અલગ રાજ્યોમા વેચાણ કરતો હતો.  જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને મહારાષ્ટ્ર સહાદા ખાતેથી ઝડપી પડ્યો છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. 


સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા સતત કામ કરી રહી છે. આ શ્રેણીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારની ધરપકડ પરથી એવું કહી શકાય કે તે યુવાનીમાં ફરાર થઈ ગયો હતો અને હવે વૃદ્ધાવસ્થામાં તેને પોલીસે પકડી લીધો છે.


આર્મ્સ એક્ટમાં ફરાર હતો 


સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ફરાર આરોપીને ઝડપી લીધો છે તેનુ નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવડસિંહ ડાવર છે. સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવરસિંહ ડાવર વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.


1993માં આરોપી સામે નોંધાયો હતો કેસ


70 વર્ષીય મોહન સિંહ ડાવર મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના અસવાડા ગામમાં રહેતો હતો. છેલ્લા 30 વર્ષથી આરોપી ફરાર હતો. આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાવર સામે 1993માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંર્તગત ફરાર હતો.  રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2018 માં અન્ય આરોપીઓને ચાર પિસ્તોલ અને 50 જીવતા કારતુસ સપ્લાય કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તે સમયે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં મોહનસિંહ ઉર્ફે મોહનસિંહ ભૈયા ડાવર પોલીસની ધરપકડથી બચવા માટે વર્ષોથી ફરાર હતો.


છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે.


સુરત ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મોહનસિંહ છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર હથિયાર બનાવતો હતો. તે પોતાના વતનમાં હથિયાર બનાવતો હતો અને આ હથિયારો પોતાના અને ગામના વિવિધ વ્યક્તિઓ દ્વારા અન્ય રાજ્યોમાં વેચતો હતો.