Gujarat election 2022 : સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.  એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી મિની રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.  વરાછા પ્રવેશ તરફ સીમાડા નાકા પાસે રૂટ રોડ પર 3 કિમી સુધી બેરિકેટ તૈયાર કરવામાં આવ્યા છે. 28 કિલોમીટરનો રૂટ 8  જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેશે. 



વર્ષ 2017 ચૂંટણીમાં સુરત શહેરની 12 પૈકી તમામ બેઠકો ભાજપે જીતી હતી,જિલ્લાની 4 પૈકી 3 ભાજપ અને 1 કોંગ્રેસે જીતી હતી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ આજે સુરત પહોંચ્યા હતા.  પ્રધાનમંત્રીને આવકારવા લોકો ઘણા સમયથી રસ્તા પર ઉભા છે. પ્રધાનમંત્રીના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉભા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા.  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રોડ શોના રસ્તાના રૂટ પર મોદી મોદીના નારા લાગ્યા છે.


સુરતમાં પ્રધાનમંત્રી મોદી જે રુટ પરથી પસાર થવાના છે તે  રૂટ પર સ્વાગત પોઇન્ટ  તૈયાર કરાયા છે. આ સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ નગારા વગાડીને ઉત્સાહ જેવો માહોલ બનાવવામાં આવ્યો છે. એરપોર્ટથી અઠવા ગેટ સુધીના આ સમગ્ર રૂટ પર પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે વિશેષ સ્વાગત પોઈન્ટ પ્રધાન મંત્રી માટે રાખવામાં આવ્યું છે. 


Gujarat election 2022: ભરૂચની સભામાં PM મોદીએ ક્યા બે બાળકોનો કર્યો ઉલ્લેખ


ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.


નેત્રંગ સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ બોલાવ્યા હતા. મોદીએ બાળકોને સભા સ્થળ પાછળ સમય આપ્યો હતો. બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક બાળકનું નામ અવી છે અને તેને કલેકટર અને બીજા બાળકનું નામ જય છે અને તેને ઈજનેર બનવું છે.