સુરતઃ રાજ્યમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે ઘરે ઘરે જઈને રેપિડ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આજે સુરત મનપાની ટીમ સોસાયટીઓમાં જઈને ટેસ્ટિંગ કરી રહી છે. સુરતના કતારગામ વેડરોડની સોસાયટીમાં કોરોના ટેસ્ટિંગ કરાયું હતું.


કતારગામની મોહનદીપ સોસાયટીમાં 13 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરતા 2 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. સુરતના અલગ અલગ ઝોનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ધનવન્તરી રથ સાથે રાખી રેપીડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરત કોર્પોરેશન દ્વારા રોજના પાંચ હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાંસી, શરદી, તાવ ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે.

કોર્પોરેશનના આ નિર્ણયને પગલે ટેસ્ટિંગ ત્રણ ઘણું થતા રોજના પાંચસો કેસ સંભવ છે. દર્દીને જરૂર લાગે તો હોમ આઇસોલેશન, હોસ્પિટલમાં દાખલ કરાશે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2914 એક્ટિવ કેસો હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6522 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં સુરતમાં કુલ 258 લોકોના કોરોનાથી મોત થયા છે.