Surat:  સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામા આવી હતી. અનિલ ભોજ ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા. આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે  31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી.


ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે. અનિલ ભોજે પોતાના ભાઈ સાથે મળી વેડ રોડ ઉપર બે બચત યોજનાના નામે 31 લોકોને છેતર્યા હતા. બહુચરનગરમાં લક્ષ્મીપૂજન અને ભાગ્યલક્ષ્મી બચત યોજનાના નામે રોકાણ કરી ફુલેકું ફેરવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ કાનજી ભોજની ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી. વેડ રોડ સ્થિત બહુચરનગરમાં રહેતા હર્ષદ દેવશી રાઠોડની અરજીને આધારે ચોકબજાર પોલીસે ફોજદારી ગુનો નોંધ્યો હતો.

આ બંને ભાઈઓ તેમના પિતા કાનજી ભોજ સાથે ૨૦૧૩થી બહુચરનગર મકાન નંબર ૧૨૭માં ઓફિસ રાખી બે બચત યોજનાઓ ચલાવતા હતા. આ યોજનાઓમાં ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ભરી સભ્ય બનાવવામાં આવતા હતા. તે સાથે જ દર મહિને ૩૬થી ૪૦ હપ્તાઓમાં સરખી રકમનો હપ્તો જમા કરાવવાનો રહેતો હતો. હપ્તા પૂર્ણ થયા બાદ બચેલી રકમ પરત આપી દેવામાં આવતી હતી. એટલું જ નહિ સભ્યને તેના સસ્તા દરે લોન પણ આપવામાં આવતી હોઈ વેડ રોડ વિસ્તાર ઉપરાંત બીજા વિસ્તારના લોકો પણ આ બચત યોજનામાં સભ્યો બન્યા હતા.

જાન્યુઆરી 2017માં કાનજીભાઈના અવસાન બાદ પણ તેમના બંને પુત્રોએ આ રકમ જમા લેવાનું ચાલુ રાખ્યું હતું. થોડાક મહિના બાદ હપ્તા પૂર્ણ થયા બાદ લોકોએ ઉઘરાણી કરતાં બહનાબાજીઓ શરૂ કરી હતી. ભોગ બનેલા અનેક લોકોએ વર્ષોથી આ પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ અરજીઓ કરી હતી. સંખ્યાબંધ અરજીઓના અભ્યાસ બાદ ચોકબજાર પોલીસે ભોગ બનેલા ૩૧ વ્યક્તિઓની યાદી તૈયાર કરી હતી. જેને આધારે ૩૯.૬૪ લાખની છેતરપિંડી બદલ આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની કલમ ૩ મુજબ મંગળવારે બપોરે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈને દબોચી લીધો હતો. તે સાથે જ તેમનો ભોગ બનેલી વ્યક્તિઓને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નાણાં ગુમાવનાર ચારનાં મોત થયા હતા.