સુરતના નાસીરનગરમાં અચાનક 100 થી 200 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશન કોણે કર્યું તે અંગે રહસ્ય ઘેરાયેલું છે.
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Surat Nasirnagar demolition controversy: નાસીરનગરમાં નોટિસ વગર બુલડોઝર ફર્યું, કોંગ્રેસનો બિલ્ડરને ફાયદો કરાવવાનો આરોપ, ધારાસભ્ય અને તંત્ર અજાણ.

- સુરતના નાસીરનગરમાં અચાનક 200 મકાનો તોડી પડાયા.
- ડિમોલિશનની જવાબદારી કોઈ સ્વીકારતું નથી, રહસ્ય ઘેરું.
- નોટિસ વિના કાર્યવાહી; કોંગ્રેસે બિલ્ડરના ફાયદાનો આરોપ મૂક્યો.
- મીડિયા અહેવાલ બાદ તંત્ર સફાળું, તપાસના આદેશ અપાયા.
Surat Nasirnagar demolition controversy: સુરતના નાસીરનગરમાં શનિવારે એક મોટો કાંડ થઈ ગયો છે. અહીં 100 થી 200 જેટલા મકાનો પર અચાનક બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, પણ સૌથી મોટી નવાઈની વાત એ છે કે આ ડિમોલિશન કોણે કર્યું તે કોઈને ખબર જ નથી! પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો છતાં સુરત મહાનગરપાલિકા (SMC) અને સ્થાનિક ધારાસભ્ય હાથ ઊંચા કરી રહ્યા છે કે અમે આ મકાનો નથી તોડ્યા. કોંગ્રેસે બિલ્ડરને ફાયદો કરાવવા ગરીબોના મકાનો તોડ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે, ત્યારે મીડિયાના અહેવાલ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને આ 'ભૂતિયા ડિમોલિશન' મામલે તપાસના આદેશ આપી દીધા છે.
કોઈ નોટિસ વગર જ તોડી પડાયા મકાન
શનિવારે નાસીરનગર વિસ્તારમાં અચાનક જેસીબી અને બુલડોઝર આવ્યા અને 200 જેટલા ગરીબોના મકાનોને જમીનદોસ્ત કરી દીધા. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા કારણ કે કોઈને અગાઉથી ઘર ખાલી કરવાની નોટિસ પણ નહોતી અપાઈ. આ મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ સીધો આરોપ લગાવ્યો છે કે, એક ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ માટે રસ્તો ખુલ્લો કરવા અને નડતરરૂપ ઝૂંપડા હટાવવા આ કાર્યવાહી રાતોરાત કરી દેવાઈ છે. જ્યારે તેઓ રજૂઆત કરવા સેન્ટ્રલ ઝોનની કચેરીએ ગયા, ત્યારે અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે આવું કોઈ ડિમોલિશન પાલિકાએ કર્યું જ નથી!
ધારાસભ્ય અને મનપાએ હાથ ઊંચા કર્યા
આખો મામલો ગરમાતા અને એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાને જ્યારે આ સવાલ પૂછાયો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, 'સેન્ટ્રલ ઝોન તરફથી કોઈ ડિમોલિશન નથી કરાયું, આ કોણ કરી ગયું તેની અમે તપાસ કરી રહ્યા છીએ.' જ્યારે પોલીસની હાજરી હતી તો ડિમોલિશન કોણે કર્યું તે એક મોટો સવાલ ઊભો થયો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો બચાવ, આપ્યા તપાસના આદેશ
વિવાદ વધતા સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે, 'અમારા અધિકારીઓ તો માત્ર લાઈન દોરી (ડીમાર્કેશન) નક્કી કરવા માટે જ ગયા હતા અને તેના માટે જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. મનપાએ ડિમોલિશન કર્યું નથી. તો પછી આ ડિમોલિશન કેવી રીતે થયું તે મોટો તપાસનો વિષય છે. તપાસમાં જે પણ વિગતો સામે આવશે અને જે પણ કસૂરવાર હશે તેની સામે અમે કડક કાર્યવાહી કરીશું.' કતારગામ ઝોનની જગ્યામાં સેન્ટ્રલ ઝોનનું ડીમાર્કેશન કેવી રીતે થયું તેવા સવાલ પર તેમણે કહ્યું કે, ચાર રસ્તા પાસેની મિલકત કયા ઝોનમાં લાગે તે નક્કી કરવામાં થોડી ગૂંચવણ થતી હોય છે.
આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ચમત્કાર! ડિમોલિશનમાં મળ્યું ૧૨૫ વર્ષ જૂનું હનુમાન મંદિર
સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ ફરિયાદની તૈયારી
હાલ તો જેમના ઘર તૂટી ગયા છે તેવા અસરગ્રસ્ત પરિવારો રસ્તા પર આવી ગયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ઘરવિહોણા બનેલા લોકોને તાત્કાલિક આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે. આ સાથે જ, આખું ઘર બરબાદ થઈ ગયા બાદ સ્થાનિક લોકો આ 'રહસ્યમય' ડિમોલિશન પાછળ જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.
Frequently Asked Questions
સુરતના નાસીરનગરમાં કઈ ઘટના બની હતી?
ડિમોલિશન પહેલા શું કોઈ નોટિસ આપવામાં આવી હતી?
ના, ડિમોલિશન પહેલા ઘર ખાલી કરવાની કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. અચાનક જેસીબી અને બુલડોઝર આવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
આ ડિમોલિશન પાછળ કોનો હાથ હોવાના આરોપો લાગી રહ્યા છે?
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, એક ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ માટે રસ્તો ખુલ્લો કરવા આ કાર્યવાહી રાતોરાત કરવામાં આવી છે. આ ડિમોલિશન ગરીબોના મકાનો હટાવવા કરાયું છે.
આ ઘટના અંગે સ્થાનિક તંત્રની શું પ્રતિક્રિયા છે?
સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્ય બંનેએ ડિમોલિશન કરવાની ના પાડી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ 'ભૂતિયા ડિમોલિશન' મામલે તપાસના આદેશ આપ્યા છે.
અસરગ્રસ્ત પરિવારો માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?
કોંગ્રેસે ઘરવિહોણા બનેલા લોકોને તાત્કાલિક આવાસ યોજના હેઠળ મકાન ફાળવવાની માંગ કરી છે. સ્થાનિક લોકો જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.






















