સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે કેટલાક કોર્પોરેટરની નાસ્તા પાર્ટીના વીડિયો સામે આવતા ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના જ ધારાસભ્યએ મહાનગરપાલિકાની કામગીરી અને પદગ્રહણ સમારોહ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા સુરત મનપાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપી છે.

Continues below advertisement

કોર્પોરેટરની નાસ્તા પાર્ટીનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Continues below advertisement

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સુરતના વોર્ડ નંબર-2ના કોર્પોરેટર મનુ બલર સ્થાનિક કાર્યકરો સાથે ગાંઠિયાનો નાસ્તો કરતા જોવા મળે છે. વીડિયોમાં ભાજપના નેતા ધીરુ માંગરોળિયા પણ તેમની સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયો તે સમયનો હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. કોર્પોરેટર મનુ બલરે વીડિયો ગઈકાલે સવારનો હોવાની કબૂલાત કરી છે. જોકે તેમનો દાવો છે કે નાગરિકોની સેવા અને સ્થળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ કાર્યકરો સાથે નાસ્તો કરવામાં આવ્યો હતો.

પદગ્રહણ સમારોહને લઈને સોશિયલ મીડિયામાં ભારે ટીકા

ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે સુરત મહાનગરપાલિકાની 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણ સમારોહનું આયોજન પણ ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા કે જ્યારે શહેર પાણીમાં ગરકાવ હતું ત્યારે પદાધિકારીઓ પદગ્રહણ અને નાસ્તા કાર્યક્રમમાં વ્યસ્ત કેમ હતા. સમારોહ દરમિયાન ઢોકળા, ખમણ, ઈડલી-સાંભાર અને અન્ય નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોવાના મુદ્દે પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ પ્રશ્ન કર્યો કે આવી આફતની સ્થિતિમાં કાર્યક્રમ મોકૂફ રાખીને પદાધિકારીઓએ મેદાનમાં ઉતરી રાહત કામગીરીમાં જોડાવું વધુ જરૂરી ન હતું?

આ પણ વાંચોઃ 17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના સ્ફોટક સવાલો

આ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પદગ્રહણ કાર્યક્રમ રદ કરવો જોઈએ હતો અને તમામ નગરસેવકોએ મેદાનમાં ઉતરીને પ્રજાની વચ્ચે રહેવું જરૂરી હતું.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે અતિભારે વરસાદ દરમિયાન સર્જાયેલા જળભરાવ પાછળ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા જવાબદાર છે. વારંવાર રજૂઆતો છતાં પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાડીઓની સફાઈ સહિતની કામગીરી માત્ર કાગળ પર રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

રાહત કામગીરી માટે પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી

શહેરમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપી છે. સુરત શહેરનો બહોળો વહીવટી અનુભવ ધરાવતા શાલિની અગ્રવાલને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાવાની સૂચના આપવામાં આવી છે. તેઓ પાણીના ઝડપી નિકાલ, અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી તેમજ રાહત કામગીરીનું સતત નિરીક્ષણ કરશે. રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરીને વધુ ઝડપથી અને અસરકારક રીતે આગળ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.