વરસાદ રોકાયા બાદ પણ સુરતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક સોસાયટીઓ, દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે.
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
surat News: સુરતમાં વરસાદ બંધ થયાના 17થી 18 કલાક બાદ પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે ટ્રેન અને હવાઈ સેવાઓ પર પણ ભારે અસર જોવા મળી રહી છે.

- વરસાદ બંધ છતાં સુરતના અનેક વિસ્તારો હજુય જળમગ્ન છે.
- મનપાના દાવા પોકળ, ખાડીઓ ભયજનક; પરિવહન સંપૂર્ણ ખોરવાયું.
- સરકારી તંત્ર સતર્ક, રાહત-બચાવ ચાલુ; 125થી વધુ બચાવ્યા.
Surat News: સુરતમાં વરસાદ રોકાયા બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. શહેરના ઉધના, સરથાણા, લસકાણા, પર્વતગામ, વરાછા, લિંબાયત, ભેસ્તાન, સચિન, વેડ રોડ, કતારગામ, ગોડાદરા, રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક સોસાયટીઓ, દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ઉધનાના લાલીનગર સોસાયટી, બાલાજી ફ્લેટ અને શ્રીનાથ કોમ્પ્લેક્સ સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો ડૂબી ગયા છે. વરાછાના બરોડા પ્રિસ્ટેજ માર્કેટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મહાનગરપાલિકાએ ચાર કલાકમાં પાણીના નિકાલનો દાવો કર્યો હતો, પરંતુ વરસાદ બંધ થયાના 18 કલાક બાદ પણ અનેક વિસ્તારો જળમગ્ન હોવાથી પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. વેપારીઓએ પણ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. પોદાર આર્કેડના વેપારીઓએ ગટરોની સમયસર સફાઈ ન થવાનો અને આખી રાત જાતે પાણી બહાર કાઢવું પડ્યાનો આક્ષેપ કર્યો છે.
સુરતની ત્રણેય મુખ્ય ખાડીઓ ભેદવાદ, મીઠી અને સીમાડા ખાડી ભયજનક સપાટીને પાર વહી રહી છે. ભેદવાદ ખાડી હાલ 9 મીટરની સપાટીએ વહેતી હોવાનું સામે આવ્યું છે. પ્રેમનગર વિસ્તારમાં ઈતિહાસમાં પ્રથમ વખત ખાડીના પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: Gujarat Rain Forecast: રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
વરસાદની અસર પરિવહન વ્યવસ્થા પર પણ પડી છે. સચિન રેલવે સ્ટેશન નજીક પુલ પર પાણી ભરાઈ જતા અત્યાર સુધીમાં 39 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કોલકાતાથી સુરત આવતી ફ્લાઈટ નાસિક અને મુંદ્રાથી સુરત આવતી ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પરથી ત્રણ ફ્લાઈટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઈટો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે.
શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને સાયણથી કીમ તેમજ સુરત જતાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ધારાસભ્ય મુકેશ પટેલ પહોંચવાના છે.
તો બીજી તરફ તંત્રનો દાવો છે કે. વરસાદને પગલે રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. પ્રભારી સચિવોને વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચવા સૂચના આપવામાં આવી છે. સુરત માટે પ્રભારી સચિવ શાલિની અગ્રવાલને મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લેબર કોલોનીમાં પાણી ભરાતા બાળકો સહિત 125થી વધુ લોકો ફસાઈ ગયા હતા. NDRF, SDRF, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહાનગરપાલિકાની ટીમોએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રાહત કેન્દ્રોમાં ખસેડ્યા હતા.સુરતમાં હાલ પણ પાણીના નિકાલ અને રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જ્યારે આગામી વરસાદની આગાહીને પગલે તંત્ર સતત સતર્ક સ્થિતિમાં છે.
Frequently Asked Questions
સુરતમાં વરસાદ બંધ થયા પછી શું સ્થિતિ છે?
વરસાદને કારણે સુરતમાં પરિવહન વ્યવસ્થા પર શું અસર પડી છે?
સચિન રેલવે સ્ટેશન નજીક પાણી ભરાતા 39 ટ્રેનો રદ કરાઈ છે. ફ્લાઈટ્સ ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી છે, અને કેટલીક ફ્લાઈટો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે.
મહાનગરપાલિકાની કામગીરી અંગે વેપારીઓનો શું મત છે?
મનપાએ 4 કલાકમાં પાણી નિકાલનો દાવો કર્યો હતો, પરંતુ 18 કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વેપારીઓએ પ્રિમોન્સૂન કામગીરી અને ગટરોની સફાઈ ન થવા બદલ રોષ વ્યક્ત કર્યો છે.
સુરતની મુખ્ય ખાડીઓની વર્તમાન સ્થિતિ શું છે?
સુરતની ત્રણેય મુખ્ય ખાડીઓ (ભેદવાદ, મીઠી અને સીમાડા) ભયજનક સપાટીને પાર વહી રહી છે. પ્રેમનગર વિસ્તારમાં ઇતિહાસમાં પ્રથમ વખત ખાડીના પાણી ઘૂસી ગયા છે.






















