વડોદરાઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આવનારી નવરાત્રિમાં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે. આવા સમયે ગુજરાતના જાણીતા ગરબા આયોજક દ્વારા આ વર્ષે સરકાર મંજૂરી આપે તો પણ ગરબાનું આયોજન નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના યુનાઇટેડ વે ગરબા આયોજક દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, યુનાઇટેડ વેના ગરબા વડોદરા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. ગુજરાતમાં ગરબાના આયોજન અંગે નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે.

નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.

નીતિન પટેલના નિવેદનનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, કોરોનાના રોગચાળા વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે મંજૂરી આપી શકે છે.