અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા છે. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા પ્રવાસીઓને કાબૂલ લઈને જઈ રહેલી એક બસ સાથે એક ટ્રક અને મોટરસાઇકલ ટક્કર થયા બાદ આગ લાગી ગઇ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બસમાં આગ લાગેલી જોવા મળી રહી છે. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ એએફપીને જણાવ્યું હતું કે બસ ઈરાનથી દેશનિકાલ કરાયેલા અફઘાન નાગરિકોને લઈ જઈ રહી હતી, જેઓ ઇસ્લામ કાલા સરહદ પાર કરીને કાબુલ જઈ રહ્યા હતા. સઈદીએ કહ્યું, "બસમાં બધા મુસાફરો સ્થળાંતર કરનારા હતા જેમણે ઇસ્લામ કલાથી પોતાની યાત્રા શરૂ કરી હતી."
પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લા મુત્તાકીએ જણાવ્યું હતું કે આ અકસ્માત હેરાત શહેરની બહાર ગુજારા જિલ્લામાં બસની વધુ પડતી ગતિ અને બેદરકારીને કારણે થયો હતો. બસ પહેલા એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી અને પછી ઇંધણ ભરેલી ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બસમાં બધા મુસાફરો પ્રવાસીઓ હતા જેમણે ઇસ્લામ કલા સરહદથી પોતાની યાત્રા શરૂ કરી હતી. અકસ્માતમાં ત્રણ મુસાફરો બચી ગયા હતા, જ્યારે ટ્રક અને મોટરસાઇકલ પર સવાર ચાર લોકો પણ મૃતકોમાં હતા. અકસ્માત પછી એએફપીના એક પત્રકારે સળગતી બસ અને બે અન્ય વાહનોના ક્ષતિગ્રસ્ત અવશેષો રસ્તા પર જોયા હતા. અફઘાનિસ્તાનમાં માર્ગ અકસ્માતો વધતી જતી સમસ્યા છે. આના મુખ્ય કારણો દાયકાઓના સંઘર્ષ પછી ખરાબ રસ્તાઓ, હાઇવે પર ખતરનાક ડ્રાઇવિંગ અને નિયમોનું કડક પાલન ન કરવું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં મધ્ય અફઘાનિસ્તાનમાં એક ઇંધણ ટેન્કર અને એક ટ્રક વચ્ચે થયેલા બે અકસ્માતોમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા.
ઈરાનથી પરત ફરી રહ્યા હતા પ્રવાસીઓ
તાજેતરના મહિનાઓમાં ઈરાનની દબાણ નીતિને કારણે લાખો અફઘાન પ્રવાસીઓ દેશમાં પાછા ફરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સ્થળાંતર એજન્સી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકો ઈરાન અને પાકિસ્તાનથી પાછા ફર્યા છે. ઈરાનમાં સ્થળાંતર કરનારાઓ સામે વધતી નફરત અને ભેદભાવે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. જૂનમાં ઇઝરાયલ સાથેના ટૂંકા યુદ્ધ પછી ઈરાની અધિકારીઓએ સુરક્ષા ચિંતાઓને ટાંકીને લાખો અફઘાનોને બળજબરીથી પાછા મોકલ્યા હતા.