America on Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી સતત સૈન્ય સહયોગ મળી રહ્યો છે. હાલ તો બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી, પરંતુ આ દરમિયાન અમેરિકા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (10 ફેબ્રુઆરી) પુનરોચ્ચાર કર્યો હતો કે યુ.એસ. યુદ્ધ સમાપ્ત કરવાના કોઈપણ પ્રયાસને આવકારશે.


વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે વડાપ્રધાન મોદી (PM મોદી) આ યુદ્ધને રોકી શકે છે. અમે તેમના પ્રયાસોને આવકારીશું.


શું પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકશે?


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મનાવવાનો હજી પણ સમય છે? વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે, મને લાગે છે કે પુતિન પાસે યુદ્ધને રોકવા માટે હજુ પણ સમય છે. અમે પીએમ મોદી દ્વારા ભરવામાં આવેલા એ તમામ પગલાનું સ્વાગત કરીશું જેનાથી યુક્રેનમાં દુશ્મનાવટને સમાપ્ત થઈ જાય.  


'આ યુગ યુદ્ધનો યુગ નહીં'


થોડા દિવસો પહેલા પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ વાત કહી હતી. જેને લઈને જોન કિર્બીએ કહ્યું હતું કે, પીએમ મોદીની માન્યતા સાચી છે અને અમેરિકાએ તેનું સ્વાગત કરે છે. પીએમ મોદીના આ નિવેદનને વૈશ્વિક નેતાઓએ સ્વીકાર્યું અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની ભારે પ્રશંસા થઈ હતી.


વ્હાઇટ હાઉસ પુતિનને ઠેરવે છે દોષી


વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ રશિયા-યુક્રેન યુદ્ધ માટે રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણાવ્યા છે. યુક્રેનિયન લોકો સાથે જે થઈ રહ્યું છે તેના માટે વ્લાદિમીર પુતિન એકમાત્ર જવાબદાર વ્યક્તિ છે અને તેઓ તેને હજી પણ રોકી શકે છે. યુદ્ધ રોકવાને બદલે તેઓ ક્રૂઝ મિસાઈલ દ્વારા યુક્રેનમાં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવામાં લાગેલા છે, જેથી ત્યાંના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે તેમ કિર્બીએ કહ્યું હતું. 


દુશ્મનાવટનો અંત આવવો જ જોઈએ - કિર્બી


જ્હોન કિર્બીએ આગ્રહ કર્યો કે દુશ્મનાવટનો અંત આવવો જોઈએ. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ પ્રમુખ જો બિડેનના પ્રયાસો પર પ્રકાર પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઘણી વખત અપીલ કરી છે, પરંતુ પુતિન તેના માટે તૈયાર નથી. અમને લાગે છે કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થવું જોઈએ.