Bangladesh: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.






સાત માળની ઇમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાત્રે 9.50 કલાકે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ હતી.


એક અધિકારીએ જણાવ્યું કે આગને કારણે 75 લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી 42 બેભાન થઈ ગયા હતા. આ લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હોવાનું કહેવાય છે.






આરોગ્ય પ્રધાન ડૉ સામંત લાલ સેને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકોના મોત થયા હતા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે બંને હોસ્પિટલમાં 22 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જો કે, જેઓ બચી ગયા તેમના શ્વસનતંત્રને ખરાબ રીતે નુકસાન થયું હતું.                            


ડૉક્ટરોનું કહેવું છે કે ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે.                                                             


ઘટનાને નજરે જોનારા લોકોનું  કહેવું છે કે બિલ્ડિંગના પહેલા માળે આગ લાગવાને કારણે લોકો ડરી ગયા અને ઉપરના માળ તરફ ભાગ્યા. બાદમાં ફાયર વિભાગના કર્મચારીઓએ ઇમારતના ઉપરના માળેથી ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. એક વ્યક્તિએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ હું જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદી ગયો હતો.