બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના નેતા તારિક રહેમાન દેશના નવા વડાપ્રધાન બન્યા છે.
બાંગ્લાદેશની નવી સરકારમાં લઘુમતીઓને સ્થાન: તારિક રહેમાનના મંત્રીમંડળમાં હિન્દુ અને બૌદ્ધ નેતાને મળ્યું મંત્રીપદ
Bangladesh New Cabinet બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનના મંત્રીમંડળમાં હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમાનો સમાવેશ. 17 ફેબ્રુઆરીએ ઢાકામાં શપથ વિધિ યોજાઈ.

Bangladesh New Cabinet: બાંગ્લાદેશના રાજકીય ફલક પર એક નવો સૂર્યોદય થયો છે. બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના નેતા તારિક રહેમાને મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે આયોજિત આ ઐતિહાસિક સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને તેમને પદના શપથ લેવડાવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, પોતાની સરકારને સર્વસમાવેશી બનાવવાના પ્રયાસરૂપે તારિક રહેમાને તેમના મંત્રીમંડળમાં લઘુમતી સમુદાયના બે દિગ્ગજ નેતાઓ, હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમાને મંત્રી તરીકે સામેલ કર્યા છે.
કોણ છે નિતાઈ રોય ચૌધરી અને દીપેન દીવાન ચકમા?
બાંગ્લાદેશની નવી કેબિનેટમાં સ્થાન મેળવનાર બંને લઘુમતી નેતાઓ પક્ષના પાયાના અને અનુભવી નેતાઓ છે:
- નિતાઈ રોય ચૌધરી: જાન્યુઆરી 1949 માં જન્મેલા નિતાઈ રોય બાંગ્લાદેશના પ્રખ્યાત વકીલ છે અને BNP ની સર્વોચ્ચ નીતિ નિર્માણ સમિતિના સભ્ય છે. તેમણે પશ્ચિમ મગુરા બેઠક પરથી જમાત એ ઈસ્લામીના ઉમેદવારને હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. તેઓ અગાઉ પણ સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે અને પક્ષમાં વરિષ્ઠ સલાહકારની ભૂમિકા ભજવે છે.
- દીપેન દીવાન ચકમા: બૌદ્ધ સમુદાયના પ્રતિનિધિ એવા દીપેન દીવાને દક્ષિણ પૂર્વ રંગામતી હિલ્સ જિલ્લાની મહત્વની બેઠક પરથી જીત મેળવી છે. તેઓ ચકમા વંશીય લઘુમતી સમુદાયના અવાજ તરીકે ઓળખાય છે.
સંસદીય ચૂંટણીમાં લઘુમતી ઉમેદવારોનો દબદબો
બાંગ્લાદેશની 13 મી સંસદીય ચૂંટણીમાં આ વખતે લઘુમતી સમુદાયના કુલ 4 ઉમેદવારો વિજયી થયા છે, જે તમામ BNP ના સભ્યો છે. વિજેતાઓમાં બે હિન્દુ નેતાઓ, ગાયેશ્વર ચંદ્ર રોય અને નિતાઈ રોય ચૌધરી, તથા બે બૌદ્ધ નેતાઓ, સચિન પ્રુ અને દીપેન દીવાન ચકમાનો સમાવેશ થાય છે. આ પૈકી નિતાઈ રોય અને દીપેન દીવાનને મંત્રીપદ આપીને તારિક સરકારે લઘુમતીઓમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો છે.
પરંપરા તોડીને સંસદ ભવનમાં શપથ વિધિ
બાંગ્લાદેશના ઇતિહાસમાં સામાન્ય રીતે વડાપ્રધાન 'બંગભવન' (રાષ્ટ્રપતિ ભવન) ખાતે શપથ લેતા હોય છે, પરંતુ 60 વર્ષીય તારિક રહેમાને આ પરંપરા તોડીને જનતાની વચ્ચે સંસદના દક્ષિણ પ્લાઝામાં શપથ લેવાનું પસંદ કર્યું હતું. મંગળવારે વહેલી સવારે જ તેમને BNP ના સાંસદો દ્વારા સંસદીય પક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ બાદ તારિક રહેમાને દેશમાં લોકશાહી અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
Frequently Asked Questions
બાંગ્લાદેશના નવા વડાપ્રધાન કોણ છે?
તારિક રહેમાને ક્યારે અને ક્યાં શપથ લીધા?
તારિક રહેમાને મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા.
નવી સરકારમાં લઘુમતી સમુદાયના કયા નેતાઓને મંત્રી બનાવાયા છે?
તારિક રહેમાને તેમની સરકારને સર્વસમાવેશી બનાવવા માટે હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમાને મંત્રી બનાવ્યા છે.
સંસદીય ચૂંટણીમાં લઘુમતી સમુદાયના કેટલા ઉમેદવારો વિજયી થયા?
બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં BNP ના કુલ 4 લઘુમતી ઉમેદવારો વિજયી થયા છે, જેમાં બે હિન્દુ અને બે બૌદ્ધ નેતાઓનો સમાવેશ થાય છે.























