BAPS: બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા મહંત સ્વામી મહારાજ અબુ ધાબી પહોંચ્યા હતા. બીએપીએસ સંસ્થાએ જણાવ્યું હતું કે મહંત સ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ તરીકે અબુ ધાબી પહોંચ્યા હતા. તેઓ યુએઇના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે. અરબી શૈલીમાં તેમનું અહી સ્વાગત કરવામાં આવ્યું હતું.










નોંધનીય છે કે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરાશે. BAPS સંસ્થાનું મંદિર UAEનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે જે ખૂબ જ સુંદર છે.


સ્વામિનારાયણ સંસ્થા BAPSએ કર્યું છે મંદિરનું નિર્માણ


 


UAEમાં બનેલા હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્ધારા કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. UAEમાં બની રહેલા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, આ મંદિરની ડિઝાઈન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.


આ મંદિર 108 ફૂટ ઊંચું છે


તેની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.


પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ


મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.


મંદિરમાં સાત શિખરો છે.


મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને 'સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.