રોમઃ હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારીથી ત્રાસી ગયુ છે, હજુ સુધી કોઇ વેક્સિન શોધાઇ નથી. દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે કોરોના વાયરસના પ્રકોપ બાદ દુનિયામાં બીજી મોટી આફત આવવાની વાત કહી છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની ઝપેટમાં આવી શકે છે.


હાલ દુનિયામાં 1,27,68,307 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં 5,66,654 સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે. આને જોઇને સંયુક્ત રાષ્ટ્રે ચેતવ્યા છે કે કોરોના મહામારી આ વર્ષે લગભગ 13 કરોડ લોકોને ભૂખમરામાં ધકેલી દેશે. દુનિયામાં ભૂખમરાની કગાર પહોંચેલા લોકોની સંખ્યા ગયા વર્ષે લગભગ એક કરોડ વધી ગઇ હતી.

આ ગંભીર આકલન દુનિયામાં ખાદ્ય સુરક્ષા તથા પોષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા હાલના એક રિપોર્ટમાં બહાર આવ્યુ છે. આને તૈયાર કરનારી યુએની પાંચ એજન્સીઓ તરફથી આ વાર્ષિક રિપોર્ટને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં ઉપલબ્ધ વર્લ્ડના આર્થિક પરિદ્રશ્ય પર આધારિત આ પ્રારંભિક અનુમાન બતાવે છે કે મહામારીના કારણે વર્ષ 2020માં કુપોષણનાં રેન્કિંગમાં 8.3 કરોડથી 13.2 કરોડ વધારાના લોકો જોડાઇ શકે છે.



યુએએ એજન્સીઓના અનુમાન અનુસાર, ગયા વર્ષે લગભગ 69 કરોડ લોકો ભૂખમારાની ઝપેટમાં આવ્યા હતા, જે આખી દુનિયાની વસ્તીના લગભગ નવ ટકા છે. વર્ષ 2018માં આ સંખ્યા લગભગ એક કરોડ હતી, જ્યારે વર્ષ 2014માં લગભગ 6 કરોડ વધારો નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર, દાયકાઓ સુધી સતત ઘટાડા બાદ વર્ષ 2014માં ભૂખમરીનો આંકડો ધીમે ધીમે સતત વધવાનો શરૂ થયો છે.