US Iran War Latest Updates:ઇઝરાયલે અમેરિકાને એવી ગુપ્તચર માહિતી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ અમેરિકાએ ઈરાન પર ફરી હુમલાની યોજના બનાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ આક્રમક બન્યો છે. તાજેતરમાં ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. તેહરાને દાવો કર્યો હતો કે તેના 8 સૈનિકોના મોત થયા છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ઇઝરાયલે અમેરિકાને એવો ઇનપુટ આપ્યો છે કે ઈરાને ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ગુપ્તચર માહિતીના આધારે જ અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો.
CNNના અહેવાલ મુજબ, ઇઝરાયલે વોશિંગ્ટન સાથે એવી ગુપ્તચર માહિતી શેર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની યોજના બનાવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ માહિતીના આધારે ટ્રમ્પને ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી કરવા માટે પ્રેરિત કર્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીજફાયર) થયા બાદ પણ આ ઇનપુટને કારણે બંને દેશો વચ્ચે ફરી તણાવ વધ્યો હોવાનું કહેવાય છે.
શું અમેરિકા ઇઝરાયલની વ્યૂહરચનામાં ફસાયું?
ઇઝરાયલ દ્વારા આપવામાં આવેલી ગુપ્તચર માહિતી સંપૂર્ણપણે સાચી હતી કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જોકે, કેટલાક અમેરિકન અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ માહિતીનો હેતુ ટ્રમ્પને ફરી હુમલો કરવા માટે પ્રેરિત કરવાનો હોઈ શકે. જો એવું હતું, તો ઇઝરાયલ પોતાના હેતુમાં સફળ રહ્યું હોવાનું માનવામાં આવે છે, કારણ કે અમેરિકાએ ઈરાન પર હુમલાઓ વધુ તેજ કર્યા છે.
ટ્રમ્પે પોતાની સુરક્ષા અંગે શું કહ્યું?
ટ્રમ્પે આ અઠવાડિયે પોતે જ સંકેત આપ્યો હતો કે તેમને ઈરાન તરફથી જાનનું જોખમ છે. નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન તેમણે કહ્યું હતું:
"તેઓ મને મારી નાખવા માંગે છે. હું તેમની દરેક યાદીમાં છું. આજે જ મેં જોયું કે હું તેમની તમામ યાદીમાં સામેલ છું. અત્યાર સુધી હું ભાગ્યશાળી રહ્યો છું, પરંતુ કદાચ આ નસીબ બહુ લાંબા સમય સુધી સાથ નહીં આપે."
ખામેનેઈ અંગેનો દાવો
અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈને મશહદમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી ચાલેલા અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો બાદ તેમને ઈમામ રઝાના પવિત્ર દરગાહ પરિસર નજીક દફનાવવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાનું પણ કહેવામાં આવ્યું છે
