'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈ ધમકી આપી છે. તેમણે કહ્યું કે ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ, કારણ કે આ તેના હિતમાં છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના શસ્ત્રો વિશ્વમાં સૌથી ખતરનાક છે.
ટ્રમ્પે ઈરાનને આપી ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાન સાથે કોઈ ડીલ કરવામાં આવશે નહીં, સિવાય કે સરેન્ડર કરવામાં આવે. . આ પછી ઈરાનમાં એક એવા નેતાની પસંદગી કરવામાં આવશે, જે ઈરાન માટે સારા હોય, તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અમેરિકા અને તેના સાથી દેશો યોગ્ય અને જરૂરી પગલાં લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ, આ સિવાય તેમની પાસે સમાધાન કરવાનો બીજો કોઈ વિકલ્પ નથી. આ પછી, અમે ઈરાનમાં એક એવા નેતાની પસંદગી કરીશું જે સ્વીકાર્ય હોય." ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશો ઈરાનને વિનાશના આરેથી પાછું લાવવા અને તેને આર્થિક રીતે પહેલા કરતા મોટું, સારું અને મજબૂત બનાવવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
ઈરાનના નવા સુપ્રીમ લીડરની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી
આ પહેલા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ પછી તેમના દિકરા મોજતાબા ખામેનેઈને ઉત્તરાધિકારી તરીકે સ્વીકારવા મંજૂર નથી. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ખામેનેઈના પુત્રને મોજતાબા ખામેનેઈ મંજૂર નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાનમાં એવું નેતૃત્વ ઇચ્છે છે જે ઈરાનમાં સદ્ભાવ અને શાંતિ લાવે. સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનીને નિયુક્ત કરવા અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "તેઓ પોતાનો સમય બગાડી રહ્યા છે. ખામેનેઈનો પુત્ર અણસમજૂ છે." નોંધનીય છે કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધને લગભગ એક અઠવાડિયું પસાર ગયું છે, પરંતુ ઈરાને નવા સુપ્રીમ લીડરનું નામ જાહેર કર્યું નથી.
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાનના સુપ્રિમ લીડર ખામેનેઈનું મૃત્યુ થયુ હતું. ઈરાને સ્વીકાર્યું છે કે તેમના સર્વોચ્ચ નેતા હવે આ દુનિયામાં નથી રહ્યાં. ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.






















