"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
એક અમેરિકન સબમરીનએ આંતરરાષ્ટ્રીય જલ ક્ષેત્રમાં ઈરાની ફ્રિગેટ IRIS Denaને ટોર્પિડોથી નિશાન બનાવ્યું. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ કિનારા પર હિંદ મહાસાગરમાં થયો હતો.

IRIS Dena: હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજ IRIS Dena ને અમેરિકી સબમરીન દ્વારા ટોર્પીડોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળના અભ્યાસમાંથી પરત ફરી રહ્યું હતું. ઈરાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં કરવામાં આવેલો ગંભીર હુમલો ગણાવી અમેરિકાને કડક ચેતવણી આપી છે.
ઈરાનના વિદેશ મંત્રીનો અમેરિકા પર પ્રહાર
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાની જહાજ પર હુમલો કરવો એ 'સમુદ્રમાં કરવામાં આવેલો મોટો અપરાધ' છે. તેમણે માહિતી આપી કે આ જહાજ તાજેતરમાં ભારતીય નૌસેનાના કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું અને તેમાં અંદાજે 130 નાવિકો સવાર હતા. અરાઘચીએ ચેતવણી આપી કે આ કાર્યવાહીના બદલામાં અમેરિકાએ 'ગંભીર પરિણામો ભોગવવા પડશે'.
શ્રીલંકા પાસે થયો હુમલો
અહેવાલો અનુસાર, અમેરિકાની એક સબમરીને આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં ઈરાનના ફ્રિગેટ IRIS Dena ને ટોર્પીડો વડે નિશાન બનાવ્યું હતું. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ કિનારા પાસે હિંદ મહાસાગરમાં થયો હતો. આ ઘટના ખાસ માનવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર અમેરિકાએ ટોર્પીડોથી કોઈ દુશ્મન જહાજને ડુબાડ્યું છે.
ભારતના નૌકાદળના કાર્યક્રમમાં સામેલ હતું જહાજ
IRIS Dena એક ફ્રિગેટ શ્રેણીનું યુદ્ધ જહાજ હતું. તેણે 18 થી 25 ફેબ્રુઆરી દરમિયાન બંગાળની ખાડીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય નૌકાદળના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ MILAN 2026 અને ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનો ભાગ હતો, જેમાં વિશ્વના અનેક દેશોની નૌસેનાઓ સામેલ થઈ હતી. આ જહાજ વિશાખાપટ્ટનમથી ઈરાન જઈ રહ્યું હતું ત્યારે જ તેના પર હુમલો થયો હતો.
હુમલામાં ભારે જાનહાનિની આશંકા
રિપોર્ટ અનુસાર, આ હુમલામાં જહાજ પર સવાર લગભગ 80 લોકોના મોત થવાની આશંકા છે. શ્રીલંકાની નેવીએ અત્યાર સુધીમાં અંદાજે 30 નાવિકોને બચાવ્યા છે, જેમને સારવાર માટે ગાલે (Galle) ની કરાપિટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે શાંત સમુદ્રમાં આગળ વધી રહેલા જહાજના પાછળના ભાગમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને પાણી તથા કાટમાળનો મોટો ગોટો હવામાં ઉછળે છે.
ઈરાન-ઈઝરાયેલ ટકરાવથી વધતો તણાવ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈઝરાયેલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. તે હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીનું પણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ઈરાને એવા દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે જ્યાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ભારે અશાંતિ ફેલાઈ છે.






















