General Knowledge: આ મુસ્લિમ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, જાણો કોણે બનાવડાવ્યું હતું?
General Knowledge: આ મુસ્લિમ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, જાણો કોણે બનાવડાવ્યું હતું?

General Knowledge: આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની રાત માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, આ પર્વ ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. ભારતમાં મહાશિવરાત્રીના દિવસે ભક્તો વ્રત રાખે છે, રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે મહાશિવરાત્રી ઉજવનારા એક મુસ્લિમ દેશમાં પણ ભગવાન શિવનું એક વિશાળ મંદિર આવેલું છે? આ મંદિર માત્ર વિશાળ જ નથી, પરંતુ તેની સ્થાપત્ય કલા અને ઇતિહાસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. આ શિવ મંદિર દુનિયાના સૌથી મોટા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં આવેલું છે. આ મંદિરનું નામ પ્રંબાનન મંદિર (Prambanan Temple) છે. તે માત્ર ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર જ નથી, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાનું બીજું સૌથી મોટું મંદિર સંકુલ માનવામાં આવે છે.
દુનિયાનું આ વિશાળ શિવ મંદિર કોણે બનાવ્યું હતું?
પ્રંબાનન મંદિરનું નિર્માણ 9મી સદીમાં થયું હતું અને તેનું નિર્માણ સંજય વંશના રાજા રકાઈ પિકાટન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર છે, જે હિન્દુ ધર્મની ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ) ને સમર્પિત છે. આ મંદિર જાવા ટાપુના મધ્ય વિસ્તારમાં આવેલું છે અને અહીં 240 નાના-મોટા મંદિરોના અવશેષો મોજૂદ છે. ઇતિહાસમાં કહેવાય છે કે શૈલેન્દ્ર વંશના બૌદ્ધ ધર્મના પ્રભાવને પડકારવા માટે પ્રંબાનન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી હિન્દુ ધર્મ અને તેની સ્થાપત્ય કલાને સન્માનિત કરી શકાય. આ મંદિરનું નિર્માણ બોરોબુદુર મંદિર (જે એક વિશાળ બૌદ્ધ સ્મારક છે) ના નિર્માણના અંદાજે 50 વર્ષ પછી થયું હતું.
પ્રંબાનન મંદિરનું પુનઃનિર્માણ
સેંકડો વર્ષો પછી ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટને કારણે આ મંદિરનને ઘણું નુકસાન થયું હતું. 17મી સદીમાં જ્યારે આ મંદિર ફરીથી શોધાયું, ત્યારે તે જંગલોથી ઘેરાયેલું અને ખૂબ જ જર્જરિત અવસ્થામાં હતું. ત્યારબાદ 1918 માં આ મંદિરના પુનઃનિર્માણનું કાર્ય શરૂ થયું. પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓ દ્વારા તેને ફરીથી સજાવવામાં આવ્યું. 1991 માં યુનેસ્કો (UNESCO) દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું.
પ્રંબાનન મંદિર ક્યાં આવેલું છે?
પ્રંબાનન મંદિર ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર યોગ્યાકાર્તા અને મધ્ય જાવા પ્રાંતોની વચ્ચે આવેલું છે. યોગ્યાકાર્તા શહેરથી આ મંદિર લગભગ 17 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને સોલો શહેરથી લગભગ 40 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. આ મંદિરની ભવ્યતા અને તેનું ઐતિહાસિક મહત્વ એ સાબિત કરે છે કે તે માત્ર હિન્દુ ધર્મનું અદ્વિતીય ઉદાહરણ નથી, પરંતુ ઇન્ડોનેશિયાની સાંસ્કૃતિક ધરોહર અને ભારત સાથેના પ્રાચીન સંબંધોનું પ્રતીક પણ છે.























