Hamza Burhan Encounter: 14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાતા આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવ્યો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમઝા બુરહાન પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હતો અને પુલવામા હુમલાના કાવતરામાં તેની મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો, જેમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ત્યારબાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

Continues below advertisement
Continues below advertisement

રહસ્યમય હુમલાઓનો સિલસિલો

સૂત્રોના જણાવ્યા મુજબ, હમઝા બુરહાન લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. તેની હત્યા એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો અને કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા અનેક લોકો પર રહસ્યમય હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક આતંકીઓ કાં તો ગેંગવોરમાં માર્યા ગયા છે અથવા અજ્ઞાત હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો...5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?

મુઝફ્ફરાબાદમાં થયેલી આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

હમઝા મુઝફ્ફરાબાદમાં પ્રિન્સિપાલના પદ પર હતો

આતંકી સંગઠન અલ-બદરના આતંકી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર છે. તે વર્ષ 2020 માં પુલવામામાં CRPF પર થયેલા ગ્રેનેડ એટેકનો માસ્ટરમાઇન્ડ હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ સમયે હમઝા બુરહાન મુઝફ્ફરાબાદની 'અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' માં પ્રિન્સિપાલના પદ પર તૈનાત હતો.

ભારત સરકારે જાહેર કર્યો હતો આતંકી

વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન ઉર્ફે 'ડોક્ટર' ને UAPA હેઠળ આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. અર્જુમંદ ગુલઝાર ડાર વર્ષ 2015 થી પાકિસ્તાનમાં રહી રહ્યો હતો. તે અલ-બદરનો કમાન્ડર હોવાની સાથે-સાથે નવા આતંકીઓની ભરતી  કરવાનું કામ પણ કરતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ પદ પર હોવા છતાં તે પડદા પાછળથી આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો, જેનો અંત હવે મુઝફ્ફરાબાદમાં થયેલા રહસ્યમય હુમલામાં થયો છે.