Thailand Train Accident: થાઇલેન્ડમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. રાજધાની બેંગકોકથી ઉત્તરપશ્ચિમ થાઇ પ્રાંત તરફ જતી ટ્રેન પર બાંધકામ સ્થળ પરથી ક્રેન પડી જવાથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બાવીસ લોકો માર્યા ગયા અને આશરે 30 લોકો ઘાયલ થયા હતા. રાજધાનીથી લગભગ 230 કિલોમીટર દૂર થાઇલેન્ડના શીખિયો જિલ્લામાં બુધવારે સવારે આ અકસ્માત થયો હતો.
થાઇલેન્ડના નાખોન રત્ચાસિમા પ્રાંતમાં બુધવારે સવારે એક દુ:ખદ રેલવે અકસ્માત થયો, જ્યાં એક બાંધકામ ક્રેન તૂટી પડતાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. પોલીસ અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFP અનુસાર, આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર, હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક વિશાળ ક્રેન અચાનક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને ત્યાંથી પસાર થતી ટ્રેન પર પડી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અનેક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટક્કરને કારણે ટ્રેનના કાટમાળમાં પણ આગ લાગી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.
22 મુસાફરોના મોત, ઘણા હજુ પણ કાટમાળમાં ફસાયેલા
થાઈ સરકારના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 9:05 વાગ્યે થયો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને આગ લાગી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અનેક ડબ્બાઓને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. બચાવ કાર્યકરોએ આગ પર કાબૂ મેળવ્યો હોવા છતાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.
જ્યારે જાનહાનિની સંખ્યા અંગે અલગ અલગ અહેવાલો મળી રહ્યા છે ત્યારે નાખોન રત્ચાસિમા પ્રાંતીય પોલીસ વડા થત્ચાપોન ચિન્નાવોંગે એએફપીને પુષ્ટી કરી હતી કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકો મૃત્યુ પામ્યા છે. વધુ 30 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ ઘટનાસ્થળે ઘણી બચાવ ટીમો તૈનાત કરી છે અને પ્રાથમિક તપાસ સૂચવે છે કે બાંધકામ સ્થળ પર સલામતી ધોરણોની બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ છે.