US Iran war news: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એક તરફ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ હવે તેના અંત તરફ છે, પરંતુ બીજી તરફ તેમણે મધ્ય પૂર્વમાં રાતોરાત 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલીને પરિસ્થિતિને વધુ ગંભીર અને વિસ્ફોટક બનાવી દીધી છે. અમેરિકાની આ બેવડી નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તે ટેબલ પર રાજદ્વારી ઉકેલ અને શાંતિની વાતો કરતું હોય, પણ જમીન પર કોઈ પણ સંભવિત યુદ્ધ માટેની તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સૈન્યની તાકાતમાં જંગી વધારો

Continues below advertisement
Continues below advertisement

પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વમાં મોકલવામાં આવેલા આ 10,000 નવા સૈનિકોમાંથી આશરે 6,000 સૈનિકોને 'USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પર તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 4,200 સૈનિકો 'બોક્સર એમ્ફિબિયસ રેડી ગ્રુપ' અને 11મા મરીન એક્સપિડિશનરી યુનિટ સાથે ત્યાં પહોંચશે. ખાડી દેશોમાં અમેરિકાના 50,000 સૈનિકો તો પહેલેથી જ પડાવ નાખીને બેઠા છે, અને હવે આ નવા સૈનિકો ઉમેરાતા અમેરિકન સૈન્યની તાકાત અનેકગણી વધી ગઈ છે.

3 ઘાતક વિમાનવાહક જહાજો પણ તૈનાત

સૈનિકો ઉપરાંત અમેરિકાએ પોતાની નૌકાદળની (Navy) તાકાતમાં પણ જબરદસ્ત વધારો કર્યો છે. ખાડી વિસ્તારની નજીક 3 મહાકાય વિમાનવાહક જહાજો - 'USS અબ્રાહમ લિંકન', 'USS ગેરાલ્ડ આર. ફોર્ડ' અને 'USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પહેલેથી જ તૈનાત કરી દેવાયા છે, જે કોઈપણ સમયે લશ્કરી ઓપરેશન પાર પાડવા માટે એકદમ તૈયાર (સ્ટેન્ડબાય) છે.

વિવાદનું મૂળ: હોર્મુઝ સ્ટ્રેટ અને યુરેનિયમ

અમેરિકાએ આ લશ્કરી જમાવડો એવા સમયે કર્યો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં નાકાબંધીને લઈને બંને દેશો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ ઉપરાંત, ઈરાનના યુરેનિયમ સંવર્ધનના મુદ્દે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ નક્કર કરાર થઈ શક્યો નથી. 22 એપ્રિલની ડેડલાઈન પણ કોઈ જ પરિણામ વગર વીતી ગઈ છે, જોકે પડદા પાછળ વાટાઘાટો હજુ ચાલુ છે.

ટ્રમ્પની ચેતવણી: "દુનિયા કંઈક આઘાતજનક જોશે"

એક તરફ ટ્રમ્પ કહી રહ્યા છે કે યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ જશે, પણ સાથે જ તેમણે એવી ખુલ્લી ચેતવણી પણ આપી છે કે, "આગામી 2 દિવસમાં દુનિયા કેટલીક આઘાતજનક બાબતો જોશે." ટ્રમ્પના આ વિરોધાભાસી નિવેદનો અને લશ્કરી તૈયારીઓએ મધ્ય પૂર્વની સ્થિતિને અત્યંત સંવેદનશીલ અને અનિશ્ચિત બનાવી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે આખરે શાંતિની આશા જીતે છે કે પછી કોઈ મોટા સંઘર્ષનો ભય સાચો પડે છે.