મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ જંગ કઈ દિશામાં જશે તે હજુ અસ્પષ્ટ છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવા માટે 10,000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ રિપોર્ટ બાદ ભડકેલા ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો તેમના સૈનિકો ઈરાનમાં પગ મૂકશે તો તેઓ માત્ર શબપેટીમાં જ પાછા ફરશે. આ ગરમાગરમી વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સેના મોકલ્યા વિના પણ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, અમેરિકન સરકાર મધ્ય પૂર્વમાં આશરે 10,000 જેટલા સૈનિકો ઉતારવાની યોજના બનાવી રહી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ઈરાને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઈરાનના રાષ્ટ્રીય અંગ્રેજી અખબાર 'તેહરાન ટાઈમ્સ'એ પોતાના પહેલા પાના પર જહાજમાં સવાર અમેરિકન સૈનિકોનો એક ફોટો છાપ્યો હતો, જેની નીચે કેપ્શનમાં લખ્યું હતું - "નર્કમાં આપનું સ્વાગત છે" (Welcome to Hell). ઈરાને સીધી ચેતવણી આપી છે કે ઈરાનની ધરતી પર પગ મૂકનાર કોઈપણ અમેરિકન સૈનિક જીવતો પાછો નહીં જાય, તે માત્ર શબપેટીમાં જ પેક થઈને પોતાના દેશ પરત ફરશે.
તો બીજી તરફ, સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર જમીની હુમલો કરશે? આ સવાલનો જવાબ આપતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પેરિસમાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રુબિયોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યુદ્ધ હવે મહિનાઓ સુધી નહીં ખેંચાય, પરંતુ ગણતરીના અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે. જ્યારે તેમને ઈરાનમાં સેના મોકલવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા જમીની સેના મોકલ્યા વિના જ પોતાના તમામ ઉદ્દેશ્યો પૂરા કરવા સક્ષમ છે.
જોકે, રુબિયોએ એ વાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો કે સૈનિકોની ત્યાં હાજરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા લશ્કરી વિકલ્પો પૂરા પાડે છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "રાષ્ટ્રપતિએ કોઈપણ સંભવિત પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડે છે, જેની હું મીડિયા સામે ખુલીને ચર્ચા નહીં કરું. અમે જમીની સૈનિકો ઉતાર્યા વિના પણ અમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ અમે હંમેશા રાષ્ટ્રપતિને એવી તક આપવા માંગીએ છીએ કે જેથી તેઓ પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે અને તેમની પાસે પૂરતા વિકલ્પો ઉપલબ્ધ હોય."
