સુરતમાં બસ સળગાવાઈ ત્યાં CCTV નથી છતાં 'પાસ'ના પાંચ કાર્યકરોને ક્યા CCTV ફૂટેજના આધારે જેલમાં ધકેલાયા? જાણો વિગત
વાસ્તવમાં જે સ્થળ પર બસ સળગાવવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા એટલું જ નહી તેની આસપાસ પણ સીસીટીવી કેમેરા નહોતા ત્યારે પોલીસે કઈ જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા એ એક સવાલ છે.સરથાણા પોલીસ મથકના અલગ અલગ વિસ્તારમાં થયેલા તોફાનો સંદર્ભે અત્યાર સુધીમાં સરથાણામાં ત્રણ અને વરાછામાં એક એમ કુલ ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં ફાટી નીકળેલી હિંસામાં સરથાણા પોલીસે પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિકની અટકાયત બાદ રવિવારે રાત્રે સરથાણા પોલીસ મથકની હદમાં ટાયર સળગાવ્યા ઉપરાંત બીઆરટીએસની બસમાં પણ આગ ચાંપી દેવાઇ હતી. પોલીસે ટાયર સળગાવવાના ગુનામાં પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મિલન કથીરિયા સિવાયના આરોપીઓ બીઆરટીએસ બસ સળગાવવામાં પણ સંડોવાયેલા હોવાથી તેમની વિરુદ્ધ બસ સળગાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. ચૌધરીએ કહ્યું હતું કે મોબાઇલ ફોનની તપાસ, સીસીટીવી કેમેરાની તપાસ અને સાક્ષીઓનાં નિવેદનોના આધારે આ પાંચની સંડોવણી બસ સળગાવવામાં સ્પષ્ટ થઈ છે. જેથી તેમની ધરપકડ કરાઇ છે.